અમદાવાદઃ કોરોના વાયરસની પહેલી લહેરમાં એક માસ્ક પહેરવાની સલાહ વૈજ્ઞાનિકો આપતા હતા. હવે બીજી લહેરમાં બે માસ્ક પહેરવાની સલાહ મળી રહી છે. પરંતુ હવે કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસના કેસમાં વધારો થતાં હવે દિવસમાં ત્રણથી ચાર વખત માસ્ક બદલવાની જરૂરિયાત હોવાની સલાહ તબીબી નિષ્ણાંતો આપી રહ્યા છે.કારણ કે, ભીના માસ્કના કારણે ફંગસ થવાની સંભાવના વધી જાય છે. હાલ મ્યુકોરમાઇકોસિસના કેસ વધી રહ્યા છે. જેના કારણે દિવસમાં ત્રણથી ચારવાર માસ્ક બદલવાની સલાહ પણ તબીબો આપી રહ્યા છે.
રાજ્યમાં કોરોનાના વધતા કેસ સામે લડવા અને લોકોને સંકર્મણથી બચવા માટે માસ્ક પહેરવું આવશ્યક છે. પરંતુ હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. એકબાજુ ગરમી અને બીજીતરફ સતત માસ્ક પહેરવામાં આવે તો પરસેવાના કારણે માસ્ક ભીનું થઈ જાય છે. અને ઘણીવાર લોકો આવા ભીના માસ્ક પહેરી રાખતા હોય છે. પરંતુ આવું ભીનું માસ્ક સતત પહેરી રાખવું સ્વાસ્થ માટે જોખમી બની શકે છે. અને તેવામાં પણ હાલ રાજ્યમાં મ્યુકોરમાઇકોસીના કેસ સૌથી વધુ છે. તેવામાં એકનું એક માસ્ક નહિ પહેરવાની તબીબી નિષ્ણાત અપીલ કરી રહ્યા છે.
આ અંગે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના ફાર્મસી વિભાગના વડા જણાવે છે કે, વરસાદી અને ભેજવાળા વાતાવરણમાં ફંગસના ગ્રોથ અને કેસ વધવાની આશંકા વધી જાય છે. હાલ જે પ્રકારે ગરમીના કારણે પરસેવાથી માસ્ક ભીનું થઈ જાય છે જેથી લોકોએ ત્રણ ચાર માસ્ક સાથે સ્પેરમાં રાખવા જોઈએ અને દિવસમાં ત્રણથી ચાર વાર માસ્ક બદલી નાખવું જોઈએ.
તેવી જ રીતે હવે વરસાદની મોસમ દ્વાર પર દસ્તક દઈ રહી છે. ત્યારે પણ લોકોએ વધુ ધ્યાન રાખવું પડશે. વરસાદ અને ભેજવાળા વાતાવરણના કારણે પણ માસ્ક ભીના થઈ જાય છે. આવા માસ્ક સતત પહેરી રાખવાથી ફંગલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જાય છે. જેથી હવે જો ફંગલ ઇન્ફેક્શનથી બચવું હોય તો માસ્ક બદલીને પહેરવું હિતાવહ છે. મહત્વનું છે કે ભીના માસ્ક પહેરવાથી માત્ર ફંગલ ઇન્ફેક્શન જ નહીં અન્ય બેક્ટેરિયલ રોગ થવાની પણ શકયતા રહેલી છે.