કોરોના મહામારીના જંગમાં દેશના સામાન્ય લોકોને સહાયરૂપ થવા કેન્દ્ર સરકારે રૂ. 20 લાખ કરોડના પેકેજ સાથે આત્મનિર્ભર ભારત અભિયાનની જાહેરાત કરી છે. જેના ભાગરૂપે ગુજરાતના તમામ નાના વ્યવસાયકારોને મદદરૂપ થઇ શકાય તે હેતુથી મુખ્યમંત્રી રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરી હતી. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં માત્ર 71,800 લોકોને જ લોનનો લાભ મળ્યો છે. જેથી યોજના-1ની છેલ્લી તારીખને 1 મહિનો વધારે એટલે સપ્ટેમ્બર સુધી લંબાવવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. હાલમાં આ યોજનાનો લાભ લેવા માટે 31 ઓગસ્ટ સુધીમાં ફોર્મ જમા કરાવવાનું છે.
મુખ્યમંત્રીએ રાજ્યમાં નાના વ્યવસાયકારો, દુકાનદારો, સ્ટ્રીટ વેન્ડર, ઓટો ડ્રાઈવર સહિતના વ્યકિતગત ધંધા-વેપાર કરતા અને કારીગરોને લોકડાઉનની સ્થિતિમાંથી પૂન: બેઠા કરવા આ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરી છે. જેમા યોજના-1માં 69,484 લોકોને તેમજ યોજના-2 43,316 લોકોને લોનની સહાય મળી શકી છે. જેથી સરકાર ફોર્મ જમા કરાવવાની અંતિમ તારીખને વધારી શકે તેવી માહિતી સામે આવી રહી છે.
મુખ્યમંત્રીના સચિવે આ યોજના અન્વયે નાના વ્યવસાયકારો, કારીગરો-ધંધો રોજગાર કરનારા 10 લાખ જેટલા વ્યક્તિઓને 3 વર્ષ માટે રૂ. 1 લાખ સુધીની લોન માત્ર 2 ટકાના વ્યાજે આપવામાં આવશે તેની પણ ભૂમિકા આપી હતી. આ લોન કોઇ પણ જાતની ગેરંટી વગર અપાશે તેમજ માત્ર 2 ટકા વ્યાજના દરે આપવામાં આવશે. ઉપરાંત લોનના પ્રથમ 6 માસ સુધી કોઇ હપ્તો પણ વસુલવામાં નહિં આવે. 3 વર્ષ માટેની મુદતની આવી લોન સહકારી બેંક્સને 8 ટકા વ્યાજે લાભાર્થીને આપવા મુખ્યમંત્રીએ કરેલી અપીલનો સારો પ્રતિસાદ આપ્યો છે. મુખ્યમંત્રીએ નાના ધંધો-વ્યવસાય કરનારાઓ વાળંદ, ધોબી, પ્લંબર, નાની કરિયાણા દુકાન, સ્ટ્રીટ વેન્ડર, ઓટો ડ્રાઈવર વગેરેને વ્યાજનો બોજ વહન ન કરવો પડે તે માટે રાજ્ય સરકાર બાકીના 6 ટકા વ્યાજ ભરશે, તેવો પણ નિર્ણય કર્યો છે.
આ અંગે મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું કે, આવા અરજી ફોર્મ રાજ્યભરમાં 1000 જેટલી જિલ્લા સહકારી બેન્ક શાખાઓ, 1400 અર્બન કો-ઓપરેટિવ બેંક્સ અને 7 હજારથી વધુ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી મળી નવ હજાર જેટલા સ્થળોએથી મેળવી શકાશે. આ મહત્વાકાંક્ષી યોજનાનો લાભ લેવા માટે માત્ર અરજી ફોર્મ ભરીને 31 ઓગષ્ટ સુધીમાં પરત આપવાના રહેશે. અન્ય કોઇ ફી કે ચાર્જ આ હેતુસર લેવામાં આવશે નહીં.