આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય ધ્વારા આયોજીત આઈ.કે.ડી.આર.સી. – અમદાવાદ ધ્વારા સંચાલિત ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ અંતર્ગત અત્યાધુનિક ૧૧ ડાયાલિસીસ સેન્ટરના ઈ-લોકાર્પણ સાથે સબડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ જંબુસર ખાતેના ડાયાલિસીસ સેન્ટરનું આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય આરોગ્ય મંત્રીશ્રીમતિ નિમિષાબેન સુથારના વરદહસ્તે સંપન્ન થયું હતું. આ પ્રસંગે સબડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ જંબુસર ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીમતિ અલ્પાબેન પટેલ, ધારાસભ્યશ્રી સંજયભાઈ સોલંકી, પૂર્વમંત્રીશ્રી છત્રસિંહ મોરી, નગરપાલિકાના પ્રમુખશ્રીમતિ ભાવના રામી, પ્રાંત અધિકારી આદર્શ રાજેન્દ્રનનની પ્રેરક ઉપસ્થિતિમાં ડાયાલિસીસ સેન્ટરનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીમતિ અલ્પાબેન પટેલ અને પુર્વ મંત્રીશ્રી છત્રસિંહ મોરીએ પ્રાસંગિક ઉદબોધનમાં જંબુસર સબડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે ડાયાલિસીસ સેન્ટર શરૂ થતાં જંબુસર, આમોદ, વાગરા સહિત આજુબાજુના વિસ્તારની પ્રજાજનોને હવે ડાયાલિસીસ કરાવવા મોટા શહેરોમાં જવું નહિં પડે. તેમણે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય વિષયક સેવાઓ પુરી પાડવા બદલ રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતાં રાજ્ય સરકાર ધ્વારા અમલી આરોગ્ય વિષયક યોજનાઓની જાણકારી આપી હતી. પ્રારંભે સબડીસ્ટ્રીક્ટ હોસ્પિટલના અધિક્ષક ડૉ. એ.એ.લોહાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
આ તકે સબડીસ્ટ્રીક હોસ્પિટલ જંબુસર ખાતે ત્રણ બેડ ધરાવતી ડાયાલિસીસ સેન્ટરનું મહાનુભાવો ધ્વારા રીબીન કાપીને ખુલ્લી મુકવામાં આવી હતી. સૌએ સેન્ટરનું ઝીંણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ વેળાએ આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય આરોગ્ય મંત્રીશ્રી નિમિષાબેન સુથારના ઈ-લોકાર્પણ કાર્યક્રમનું સૌએ લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.
આ કાર્યક્રમમાં જંબુસર શહેર અને તાલુકાના આગેવાન પદાધિકારીઓ સબડીસ્ટ્રીક્ટ હોસ્પિટલના ડૉક્ટરસ, સ્ટાફ અને નગજનો ઉપસ્થિત રહ્યા હતા.