પાટડીઃ સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ઉપરીયાળા ગામે ખેતરમાં કામ કરતા ઠાકોર યુવાનનું ટ્રેક્ટરના પાછળ જોડેલા રોટાવેટરમાં આવી જતા કપાઇ જવાના કારણે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. જ્યારે આ દ્રશ્ય જોઇને હેબતાઇ ગયેલા ખેતર માલિકે થોડીવાર બાદ ટ્રેન નીચે પડતુ મુકતા એનું પણ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. ઉપરીયાળા ગામે એક સાથે બે વ્યક્તિના કમકમાટીભર્યા મોત નિપજતા સમગ્ર પથંકમાં ચકચાર મચી જવા પામી હતી.
આ ચકચારીભર્યા બનાવની પ્રાપ્ત વિગતાનુસાર પાટડી તાલુકાના ઉપરીયાળા ગામના ગણેશભાઇ હિરાભાઇના ઉપરીયાળાની સીમમાં સૈયદવાળા તરીકે ઓળખાતા ખેતરમાં એરંડાનું વાવેતર કરેલું હતુ. ત્યારે ઉપરીયાળા ગામનો અમરતભાઇ બચુભાઇ ઉઘરોજા (ઠાકોર) ઉંમર વર્ષ-40 ખેતરમાં એરંડા પાડવા (હાકવા) માટે રોટાવેટર જોડીને ટ્રેક્ટર લઇને ગયો હતો.
ત્યારે રાત્રીના અંધારામાં અમરતભાઇ ઠાકોરનો શરીરનો કોઇ ભાગ ટ્રેક્ટરના પાછળ જોડેલા રોટાવેટરમાં આવી જતા એને માથામાં, ચહેરા પર તથા ગળાના ભાગે અને જમણા પગે ગંભીર ઇજાઓ પહોંચતા એને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લવાતા સારવાર મળે એ પહેલા જ એનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ.
આથી પાટડી પોલિસે મહેશભાઇ બચુભાઇ ઉઘરોજા (ઠાકોર)ની ફરીયાદના આધારે પાટડી પોલિસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસની વધુ તપાસ પાટડી પીએસઆઇ વી.એન.ચૌધરી ચલાવી રહ્યાં છે.
આ ગોઝારી ઘટનાના પડઘા હજી શમ્યાં નહોતા ત્યાં ઉપરીયાળા ગામે જેના ખેતરમાં આ ઘટના બની હતી એ ખેતર માલિક ગણેશભાઇ હિરાભાઇ અમરતભાઇ ઉઘરોજાને ટ્રેક્ટરના રોટાવેટરમાં આવી જવાનું દ્રશ્ય નજરે નિહાળી હેબતાઇ જતા મૃતકના પરિવાતજનોને શું જવાબ આપશે એમ લાગતા ગણેશભાઇ હિરાભાઇએ ઉપરીયાળા ગામમાંથી પસાર થતી ટ્રેન નીચે પડતુ મુકી મોતને વહાલુ કર્યું હતુ.
આ ઘટનાની જાણ થતા ગ્રામજનોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યાં હતા. આ ગોઝારા બનાવની જાણ થતાં વિરમગામ રેલ્વે પોલિસે બનાવના સ્થળે દોડી જઇ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આમ પાટડીના ઉપરીયાળા ગામે એક સાથે બે વ્યક્તિના કમકમાટીભર્યા મોત નિપજતા સમગ્ર પથંકમાં ચકચાર મચી જવા પામી હતી.