ખોડલધામને આગામી 21 ડિસેમ્બરે પાંચ વર્ષ પુરા થતા હોય ભવ્ય પાટોત્સવ અને મહાસભાનું આયોજન હતું. પરંતુ હાલ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પાટોત્સવ વર્ચ્યુઅલ યોજવાનો નિર્ણય લેવાયો છે. સાથે યોજાનાર મહાસભામાં લાખો લોકો એકઠા થાય તેમ હોવાથી મોકૂફ રાખવામાં આવી છે. કોવિડની સ્થિતિ સુધાર્યા બાદ આ મહાસભા યોજાનાર હોવાનું પ્રમુખ નરેશ પટેલે જણાવ્યું હતું. સાથે 4 માસનાં પ્રવાસમાં અનેક લોકોએ પોતાને રાજકારણમાં જોડાવા આગ્રહ કર્યો હોવાનું કહી આ અંગેનો નિર્ણય હવે પછી જાહેર કરવાનું પણ તેમણે કહ્યું હતું.
નરેશ પટેલનાં જણાવ્યા મુજબ, 21 જાન્યુઆરીએ કાગવડ ખોડલધામ ખાતે કોવિંડ ગાઇડલાઇન મુજબ માત્ર 400 લોકોની હાજરીમાં પાટોત્સવ યોજાશે. જેમાં સોશિયલ મીડિયાનાં માધ્યમથી લોકો ઓનલાઈન જોડાશે. 108 કુંડી યજ્ઞને બદલે એક જ મહાયજ્ઞ થશે. આ પાટોત્સવ માટે ગામે ગામ LED મુકાશે જેથી લોકો મોટી સંખ્યામાં લાભ લઇ શકે. આ માટેની 70 ટકા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સરદાર પટેલ ભવન ખાતે સમાજના ટ્રસ્ટીઓની મિટિંગમાં આ અંગે નિર્ણય લેવાયો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
વધુમાં નરેશ પટેલે કહ્યું હતું કે, પાટોત્સવમાં કોવિડ ગાઈડ લાઈન મુજબ જ કાર્યક્રમો કરવામાં આવશે. ખોડલધામના મહાયજ્ઞમાં ગાઈડલાઈન મુજબ હાજરી આપશે. આ મહા સભા રદ્દ નથી કરતા. પરંતુ આગામી દિવસોમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેનુ આયોજન કરાશે. જો કે આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો આવ્યો હોય આ વિશે પૂછવામાં આવતા નરેશ પટેલે કહ્યું હતું કે, હું ખોડલધામના મંચ પરથી રાજકારણની વાત નહીં કરું પણ ચાર મહિના દરમિયાન અનેક લોકો દ્વારા મને આ માટે કહેવામાં આવ્યું છે.