Surat: ગુજરાત કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સુરતના પૂર્વ કલેક્ટર આયુષ ઓક દ્વારા પોતાની સુરત ખાતે નિભાવેલી ફરજ દરમિયાન પોતાની સરકાર પ્રત્યેની જવાબદારી અને સેવાના નિયમો નેવે મૂકી કામગીરી કરી હોય એવા કિસ્સાઓ એક પછી એક બહાર આવી રહ્યા છે. સુરતના ઓલપાડ, મજુરા અને ચોર્યાસી તાલુકાની 4000 હેક્ટર સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ અને પર્યાવરણ તેમજ કુદરતી ઈકો સિસ્ટમને નુકસાન કરી ઝીંગાના તળાવો બનાવવામાં આવેલા છે. મજુરા અને ચોર્યાસી તાલુકામાં સરકાર દ્વારા એક પણ ઝીંગા તળાવને મંજૂરી આપવામાં આવી નથી તેમ છતાં આ બંને તાલુકામાં 4000 હેકટર કરતા વધુ સરકારી જમીન ઉપર ઝીંગાના તળાવો બનાવી દેવામાં આવ્યા છે.
તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુલ દ્વારા સુરત કલેક્ટરને નોટિસ કાઢી ટકોર કરવામાં આવી
ત્યારે વહીવટી તંત્ર દ્વારા ઝીંગા તળાવ બાબતે સુરતમાં સર્વે કરવામાં આવ્યો અને સર્વે કરેલી તમામ માહિતી સુરતના વહીવટીતંત્ર પાસે રેકોર્ડ ઉપર ઉપલબ્ધ છે. દર્શન નાયક સહિત ખેડૂત આગેવાનો, ગ્રામ પંચાયતો અને જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં સુરતના પૂર્વ કલેક્ટર આયુષ ઓક દ્વારા આ સરકારી જમીન ઉપર થયેલા દબાણ દૂર કરવા દેખાવ પૂરતી જ કાર્યવાહી કરવામાં આવી હતી અને કોર્ટના હુકમનું પણ પાલન કરવામાં આવ્યું ન હતું. એક કલેક્ટર તરીકે પોતાની ફરજ મુજબ સરકારી જમીનની અને સરકારી મિલકતની જાળવણી અને સાચવણી કરવા માટે જે કાર્યવાહી કરવી જોઈએ એવી અસરકારક કાર્યવાહી સુરતના પૂર્વ. કલકેટર આયુષ ઓક દ્વારા કરવામાં આવી ન હતી.
તેમણે વધુમાં જણાવ્યું છે કે ઓલપાડ તાલુકાના બરબોધન ગામ ખાતે આવેલી શ્રી રામ ન્યૂઝ પેપર મીલ સામે ગ્રામ પંચાયત બરબોધન અને નાગરિકો દ્વારા 1992માં બ્લોક નંબર 1054 અને 1055 વાળી 29 એકર સરકારી ગૌચર જમીન ફાળવણીના હુકમની શરત ભંગની આખરી સુનાવણી થઈ ગયા બાદ બે વર્ષ ઉપર સમય થઈ ગયો તેમ છતાં કોઈ જ નિર્ણય કરવામાં આવ્યો નથી.
તેમણે વધુમાં જણાવ્યું છે કે ડુમસ-સિટી તાલુકા (મજુરા)ના સર્વે નં.311/3 વાળી અંદાજિત 217216 ચોરસ મીટર જમીન આવેલી છે.આ જમીન સરકારી રેકર્ડ ઉપર 1948-49માં સરકારી જમીનથી ચાલી આવી હતી. સરકારી રેકર્ડ પ્રમાણે આ જમીન સરકારી પડતરની જમીન હતી. પરંતુ, આ જમીનમાં નોંધ નં. 582 થી ગણોતિયા તરીકે “કૃષ્ણમુખલાલ ભગવાનદાસ” નું નામ દાખલ કરવામાં આવેલ હતું. જેથી સરકારની જમીનમાં ગણોતિયા તરીકે નામ દાખલ કરવામાં આવેલું છે,આ પ્રક્રિયા સદંતર ગેરકાયદેસર કરવામાં આવી હતી. જો કે નિયમ પ્રમાણે આ રીતે કોઈપણ વ્યક્તિનું નામ દાખલ કરવા માટેની સત્તા રેવન્યુ અધિકારી પાસે હોય છે. અને કોઈપણ જમીનમાં નામ દાખલ કરતાં પહેલા રેવન્યુ અધિકારી તરફથી કારણ દર્શક નોટિસ આપવાની રહે છે. જે આ કિસ્સામાં રેવન્યુ અધિકારી તરફથી કરવામાં આવેલી ન હતી. અને કોઈપણ પ્રકારના આધાર પુરાવાઓ વિના જ ગણોતિયાઓના નામ સરકારની જમીનમાં દાખલ કરી દેવામાં આવેલા હતા. સુરતના તત્કાલીન કલેકટર આયુષ ઓક દ્વારા તેમની બદલીના બે દિવસ પહેલા મહામૂલી અને કિંમતી સરકારી જમીનમાં ખોટી રીતે ગણોતિયાના નામ દાખલ કરી દેવામાં આવેલા છે. અને જે બાબતે સરકારી જમીનમાં નામ દાખલ કરવા અન્વયે ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે.
તેમણે અંતે જણાવ્યું છે કે જાહેર હિતમાં સુરતના પૂર્વ કલેક્ટર આયુષ ઓકનાં કાર્યકાળ દરમ્યાન સરકારી જમીનો અને ખાનગી અરજદારોના કિસ્સાઓમાં કરવામાં આવેલા હુકમો અને નિર્ણયોની તપાસ કરવામાં આવે તો હજી અનેક હકીકતો બહાર આવી શકે તેમ છે. સુરતના પૂર્વ કલેકટર આયુષ ઓક દ્વારા સુરત ખાતે નિભાવેલી ફરજના સમયગાળા દરમિયાન કરવામાં આવેલા હુકમો અને નિર્ણયો તપાસવામાં આવે એવી લોકહિતમાં માગણી છે.