વલસાડઃ તા.૩૧: આગામી તારીખ ૧ ઓગસ્ટ,૨૦૨૦ના રોજ મુસ્લિમ ધર્મનો બકરી ઇદના તહેવાર નિમિત્તે અન્ય ધર્મ સમુદાયના લોકોની લાગણી દુભાવવાના કારણે સુલેહ-શાંતિ ભંગ ન થાય, કોરોના સંક્રમણને અટકાવવા માટેની માર્ગદર્શિકા મુજબ લેવામાં આવી રહેલા પગલાંઓનું ચુસ્તપણે અમલ થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે જરૂરી છે.
આ ઉપરાંત મોટી મસ્જિદો ઇદગાહોમાં મોટા પ્રમાણમાં લોકો નમાજ માટે એકત્રિત થવાનો કે જુલુસ યોજવાની શકયતાઓ હોય આ અંગે ધાર્મિક આગેવાનો ટ્રસ્ટીઓ, સંચાલકો, મૌલવીઓને કોવિદ-૧૯ અન્વયે કેન્દ્ર સરકારની ગાઇડલાઇનમાં આપેલી સૂચનાઓની યોગ્ય સમજ કરવી જરૂરી છે. આ બાબતો ધ્યાને રાખી વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ આર.આર.રાવલે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ અન્વયે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા તાત્કાલિક અસરથી તા.૫/૮/૨૦૨૦ સુધી અમલમાં રહે તેવા કેટલાક હુકમો જારી કર્યા છે.
જે અનુસાર કોઇપણ વ્યક્તિએ કોઇપણ પશુની જાહેર કે ખાનગી જગ્યા, શેરીઓમાં કે મહોલ્લામાં વગેર જગ્યાઓએ જાહેર જનતાને દેખાય તે રીતે કતલ કરવી નહીં, તેમજ કોઇપણ પ્રાણીને શણગારીને એકલા અગર સરઘસ આકારે જાહેરમાં લઇ જવા કે ફેરવવા નહીં. બકરી ઇદ તહેવાર નિમિત્તે કુરબાની પછી જાનવરના માંસ, હાડકા અને અવશેષો જાહેરમાં ફેંકવા નહીં. તેમજ જાહેર જગ્યાએ થૂંકવું નહીં.
કોવિદ-૧૯ની મહામારી ચાલતી હોય તમામ વ્યક્તિઓએ ફરજિયાતપણે માસ્ક પહેરવા ઉપરાંત સોશ્યલ ડિસ્ટન્સ રાખવાનું રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના કોવિદ-૧૯ને અટકાવવા માટેના વખતોવખત આપવામાં આવેલા આદેશો તથા માર્ગદર્શન સૂચનાઓનો તમામે ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર થશે.