ખોડલધામનાં પ્રમુખ નરેશ પટેલ રાજનીતિમાં જોડાશે કે કેમ તે અંગે વખતોવખત મીડિયા અને સોશિયલ મીડિયામાં ચર્ચા થયા કરે છે. આજે રાજકોટના કાગડવડ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ખોડલધામ નરેશે રાજકારણમાં જોડાવા અંગે મહત્વનું અને મોટું નિવેદન આપ્યું છે. નરેશ પટેલે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું છે કે, ‘જો સમાજની લાગણી હશે તો હું જરૂરથી રાજકારણમાં જોડાઇશ. ચાર મહીનાના પ્રવાસમાં મને અનેક લોકોએ રાજકારણમાં જોડાવવા માટે આગ્રહ કર્યો છે.
નરેશ પટેલે જણાવ્યું કે મહાસભામાં હું રાજનીતિમાં પ્રવેશ કરીશ કે નહીં તે અત્યારે કહી શકાય તેમ નથી. સમાજની લાગણીને ધ્યાનમાં રાખી મહાસભા રદ નથી રાખી પરંતુ મોકૂફ રાખવામાં આવી છે. ‘પાટીદારને શક્તિ પ્રદર્શનની જરૂર નથી. પાટીદાર એક પોતે જ શક્તિ છે, પાટીદાર સમાજની એકતા માટે હાલ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
આ સાથે પાટીદારોનો સૌથી મોટો ‘ખોડલ પાટોત્સવ’ વર્ચ્યુઅલ યોજાશે. 21 જાન્યુઆરીએ કાગવડ ખાતે ખોડલધામ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે કોરોનાના કારણે હવે વર્ચ્યુઅલ યોજાશે તેવું નરેશ પટેલે જણાવ્યું હતું. આ સાથે જ મહાસભા પણ મોકૂફ રાખવામાં આવી છે.
રાજકોટના કાગવડમાં આયોજિત ખોડલધામનો પાટોત્સવ વર્ચ્યુલ યોજાશે. જે અંગેની જાહેરાત ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કરી છે. રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થવાના કારણે 21મી જાન્યુઆરીએ ખોડલધામનો પાટોત્સવ વર્ચ્યુલી યોજવાનું આયોજન કરવામાં આવ્યુ છે. ખોડલધામના પાટોત્સવમાં આશરે 25 લાખ લોકો જોડાવાના હતા. પરંતુ હવે આ પાટોત્સવ ઓનલાઈન યોજાશે. નરેશ પટેલે જણાવ્યું કે, પાટોત્સવમાં કોઈ વીઆઈપી લોકોને આમંત્રણ આપ્યું નથી. પાટોત્સવમાં કોવિડ ગાઈડલાઈનનો પૂરતો ખ્યાલ રાખવામાં આવશે.