કોવિડના કેસોમાં તાજેતરમાં ઉછાળો જોવા મળ્યો છે, આ સાથે જ દરેક રાજ્યએ કોરોના સામે લડવાની પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. ત્યારે રાજ્યને લગભગ 2 લાખ કોરોના વિરોધી રસીના ડોઝ મળવાની સંભાવના છે. જો કે, તેના માટેની સમયરેખા હજુ સુધી નક્કી કરવામાં આવી નથી.
કોવિડ-19 રસીકરણ કેન્દ્રોમાં ઓછો સ્ટોક હોવાના અહેવાલ સાથે, રાજ્યના રોગપ્રતિરક્ષા અધિકારી ડો. નયન જાનીએ જણાવ્યું કે બે ડોઝનું 100% કવરેજ હાંસલ કર્યા પછી, સાવચેતી બૂસ્ટર ડોઝ લેનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે, ફ્રી રસીકરણ કરવામાં આવ્યું હોવા છતાં આવી સ્થિતિ છે. તેથી, રાજ્યના આરોગ્ય વિભાગે સ્ટોકનો બગાડ અટકાવવા માટે નવી રસીની વિનંતીઓ મોકલવાનું બંધ કર્યું.
જો કે, કોવિડના કેસોમાં વધારો અને કેટલીક કેન્દ્રીય સ્તરની બેઠકો સાથે, રાજ્યને રસીના નવા બેચ આપવામાં આવશે, એમ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
જણાવી દઈએ કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 10,158 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને ગુરુવારે સવાર સુધીમાં સક્રિય કેસ લોડ 44,998 પર પહોંચી ગયો છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 45 નવા કેસ આવતાની સાથે કુલ સક્રિય કેસ વધીને 1992 પર પહોંચી ગયા છે અને 2 મૃત્યુ નોંધાયા છે.