ટંકારા: જબલપુર ખાતે હોમિયોપેથી કેમ્પને બહોળો પ્રતિસાદ, વિનામૂલ્યે નાગરિકોએ નિદાન મેળવ્યું
ટંકારામાં જબલપુર ખાતે હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિનો વિનામૂલ્યે નિદાન-સારવાર કેમ્પ યોજાયો હતો. જેને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. અને એક જ દિવસમાં 80થી વધુ દર્દીઓએ વિનામૂલ્યે નિદાન મેળવ્યું હતું.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ભારત સરકારના આયુષ મંત્રાલય વિભાગ, નિયામક,આયુષની કચેરી ગાંધીનગર નિર્દેશિત અને જિલ્લા આયુર્વેદ અધિકારી, આયુર્વેદ શાખા,જિલ્લા પંચાયત મોરબીના માર્ગદર્શન હેઠળ જૂની પ્રાથમિક શાળા, જબલપુર ખાતે સવારે 09:00થી બપોરે 03:00 વાગ્યા દરમિયાન હોમિયોપેથીનો વિનામૂલ્યે નિદાન-સારવાર કેમ્પ યોજાયો હતો.
આ અંગે ટંકારા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો.જે.પી.ઠાકરે મીડિયાને જણાવ્યું હતું કે, છેલ્લા 7 વર્ષથી તેઓ ટંકારા ખાતે કાર્યરત છે અને દર વર્ષે તેઓ આ પ્રકારના નિ:શુક્લ નિદાન કેમ્પનું આયોજન કરતા રહે છે. આ વર્ષે તો તેમણે આયુષ મેળાનું પણ આયોજન કર્યું હતું. જેમાં આયુર્વેદ,યોગ અને હોમિયોપેથીનો સમન્વય જોવા મળ્યો હતો. હોમિયોપેથીમાં પાચનતંત્રના રોગ, ચામડીના રોગ, સ્ત્રી રોગ, સાંધાના રોગ, શ્વસનતંત્રના રોગ, જીવનશૈલી જન્ય રોગ સહિત દરેક પ્રકારના રોગનું સચોટ અને સુંદર નિદાન છે જે અન્ય સારવારની પદ્ધતિમાં નથી. તાજેતરમાં યોજાયેલ કેમ્પને બહોળો પ્રતિસાદ મળ્યો હતો અને 80થી વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. તેવું તેમણે જણાવ્યું હતું