જમ્મુ કાશ્મીરના કુલગામમાં થયેલા એન્કાઉન્ટરમાં લશ્કરના ત્રણ આતંકીઓ ઠાર કરાયા છે. સૂત્રો તરફથી મળેલી જાણકારી મુજબ લશ્કર-એ-તૈયબાનો ટોપ કમાન્ડર અબુ દુજાના છુપાયો હોવાની સૂચના સુરક્ષાદળોને ગઈકાલે જ મળી હતી. જેના પગલે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બંને તરફથી કલ્લાકો સુધી ચાલેલા ગોળીબારમાં ત્રણ સ્થાનિક આતંકી માર્યા ગયા છે. લશ્કર-એ-તૈયબાના માર્યા ગયેલા ત્રણ આતંકીમાં રાહીલ અમીન, માજીદ જરગર અને વસીમ છે. જો કે, માર્યા ગયેલા આતંકીઓમાં અબુ દુજાના શામેલ નથી.
માનવામાં આવી રહ્યું છે તેઓ કાલે સાંજથી જ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. સુરક્ષાદળોને માહિતી મળી હતી કે અબુ દુજાના અહીં સંતાયો છે. અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે સામસામા ગોળીબાર શરૂ થયો હતો. અબુ દુજાનાને ઘેરવા માટે કુલગામના અરવારીમાં બુધવારથી જ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું.
અમે જણાવી દઈએ કે અબુ દુજાના પર ૧૨.૫૦ લાખ રૂપિયાનું ઇનામ છે. કાશ્મીરમાં એક એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા લશ્કર કમાન્ડર અબુ કાસીમ બાદ હવે અબુ દુજાના જ લશ્કર-એ-તૈયબા આતંકી સંગઠનનો ટોપ કમાન્ડર બની ગયો હતો.