આસો મહિનાના કૃષ્ણપક્ષની એકાદશીને રમા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે વ્રત રાખી ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે એકાદશી 24 ઓક્ટોબરે છે(વ્રતની શરૂઆત 23 ઓક્ટોબરે રાત્રે 01-10 મિનિટે થઈ જશે). આ વ્રત વિશેની માન્યતા મુજબ આ વ્રતના પ્રભાવથી બધા જ પાપ નષ્ટ થઇ જાય છે, ત્યાં સુધી કે, બ્રહ્મહત્યા જેવા મહાપાપ પણ દૂર થઇ જાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે આ વ્રત સુખ અને સૌભાગ્યપ્રદ માનવામાં આવે છે. આ વ્રતની કથાનો ઉલ્લેખ શ્રીપદ્મપુરાણમાં કરવામાં આવ્યો છે જે આ પ્રકારે છે-
વ્રત અને પૂજા વિધિ-
રમા એકાદશીના દિવસે સવારે વહેલાં ઊઠીને સ્નાન વગરે પૂર્ણ કર્યા પછી વ્રત કરવા માટે સંકલ્પ લો. જે પ્રકારે તમે વ્રત કરી શકતાં હોવ, તે પ્રમાણે સંકલ્પ લો, જેમ કે- જો આખો દિવસ નિરાહાર રહેવા માંગતા હોવ તો પછી એક સમયે ફળાહાર કરવો જોઈએ. ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણની વિધિ-વિધાન પૂર્વક પંચોપચાર પૂજા કરો. જો તમે પોતે પૂજા ન કરી શકતાં હોવ તો કોઈ યોગ્ય બ્રાહ્મણને પૂજા કરવા માટે બોલાવો. પછી ભગવાનને ભોગ લગાવો અને પ્રસાદ ભક્તોમાં વહેંચી દો.
આ પ્રકારે સાંજના સમયે પણ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરો. રાતના સમયે ભગવાનની મૂર્તિની પાસે જ બેસીને શ્રીમદભાગવત કે ગીતાનો પાઠ કરો. બીજા દિવસે બ્રાહ્મણોને આમંત્રિત કરો. બ્રાહ્મણોને ભોજન કરાવો, દાન-દક્ષિણા આપીને સસન્માન વિદાય આપો. ત્યારબાદ જ ભોજન ગ્રહણ કરો. ભગવાનને માખણ અને સાકરનો ભોગ લગાવો તો અતિ ઉત્તમ રહેશે.
શ્રીપદ્મપુરાણ પ્રમાણે રમા એકાદશીની કથાઃ-
– પ્રાચીન સમયમાં મુચુકુંદ નામના એક રાજા હતાં. જેમની મિત્રતા દેવરાજ ઈંદ્ર, યમ, વરૂણ, કુબેર અને વિભીષણ સાથે હતી. તે ખૂબ જ ધાર્મિક પ્રવૃત્તિવાળા અને સત્યપ્રતિજ્ઞ હતાં. તેમના રાજ્યમાં બધાં જ સુખી હતાં તેમને ચંદ્રભાગા નામની એક પુત્રી હતી, જેનાં લગ્ન રાજા ચંદ્રસેનના પુત્ર શોભન સાથે થયાં હતાં.
– એક દિવસ શોભન તેના સાસરે આવ્યો તો સંયોગવશ એ દિવસે અગિયારસ હતી. શોભને પણ અગિયારસનું વ્રત કરવાનો નિર્ણય કર્યો. ચંદ્રભાગાને એ ચિંતા થઈ કે, તેનો પતિ ભૂખ કેવી રીતે સહન કરશે. આ વિષયમાં તેના પિતાના આદેશ ખૂબ જ કડક હતાં.
– રાજ્યમાં બધાં જ અગિયારસનું વ્રત કરતાં હતાં અને કોઇ અન્નનું સેવન કરતું ન હતું. શોભને તેની પત્ની પાસેથી એવો કોઇ ઉપાય માંગ્યો, જેનાથી તેનું વ્રત પણ પૂર્ણ થાય અને કોઇ પ્રકારનું કષ્ટ પણ ન થાય, પરંતુ ચંદ્રભાગા એવો કોઇ જ ઉપાય ન જણાવી શકી.
– નિરૂપાય શોભને ભાગ્યના ભરોસે વ્રત રાખ્યું, પરંતુ તે ભૂખ અને તરસ સહન ન કરી શક્યો અને તેનું મૃત્યુ થઈ ગયું. જેનાથી ચંદ્રભાગા ખૂબ જ દુ:ખી થઈ ગઈ. પિતાના વિરોધના કારણે તે સતી ન થઈ.
– તો શોભનને રમા એકાદશીના વ્રતના કારણે મંદરાચલ પર્વતના શિખર પરનું એક ઉત્તમ દેવનગર પ્રાપ્ત થયું. ત્યાં ઐશ્વર્યનાં બધાં જ સાધનો હતાં. ગંધર્વગણ તેમની સ્તુતિ કરતાં જતાં અને અપ્સરાઓ સેવામાં લાગેલી હતી.
– એક દિવસ જ્યારે રાજા મુચુકુંદ મંદરાચલ પર્વત પર ગયાં ત્યારે તેમણે તેમના જમાઇનો વૈભવ જોયો. પાછા પોતાના નગરમાં આવી ચંદ્રભાગાને આખી જ પરિસ્થિતિ જણાવી તો તે ખૂબજ ખુશ થઈ. તે પોતાના પતિ પાસે ચાલી ગઈ અને પોતાની ભક્તિ અને રમા એકાદશીના પ્રભાવથી શોભન સાથે સુખી જીવન જીવવા લાગી.
રમા એકાદશીના શુભ મુહૂર્ત-
રમા એકાદશી તિથિ પ્રારંભ- 23 ઓક્ટોબરે રાત્રે 1-10 વાગ્યે
રમા એકાદશી તિથિ સમાપ્ત-24 ઓક્ટોબરે રાત્રે 10-20 વાગ્યા સુધી
રમા એકાદશી પ્રારણ સમય- 25 ઓક્ટોબરે સવારે 06-40 થી 08-40 વાગ્યા સુધી
રમા એકાદશીનું મહત્વ
રમા એકાદશી વ્રત કામઘેનુ અને ચિંતામણિના સમાન ફળ આપે છે. આ વ્રત કરવાથી સમૃદ્ધિ અને સંપન્નતા વધે છે. આ વ્રત કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. પદ્મપુરાણ પ્રમાણે રમા એકાદશીનું પ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે. જેના પ્રભાવથી દરેક પ્રકારના પાપ સમાપ્ત થઈ જાય છે. મૃત્યુ પછી વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે.