નોટબંધી બાદ સરકાર તરફથી દેશમાં ડીઝીટલ પેમેન્ટ સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ માટે જોરશોરથી પ્રચાર અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યુ છે. ઉપરાંત સરકાર દ્વારા સમગ્ર દેશમાં ડીઝીટલ પેમેન્ટ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે પાંચ મુખ્યમંત્રીઓની આગેવાનીમાં એક સમિતિની રચના પણ કરી છે. તેમજ રાજ્ય સરકારો દ્વારા પણ પોતપોતાની રીતે ડીઝીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે માર્ગદર્શન કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.જમીની વાસ્તવિક્તા હજી પણ ભારતમાં ડીઝીટલ પેમેન્ટ સિસ્ટમનુ સમર્થન કરતી નથી. કારણકે અખિલ ભારતીય વેપારી સંઘ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ એક અભ્યાસમાં સામે આવ્યુ છે કે ભારતમાં અત્યારે કુલ વસ્તીના માત્ર ૧૦ ટકા લોકો જ ડીઝીટલ પેમેન્ટનો ઉપયોગ કરે છે. જ્યારે દેશમાં કુલ લેવડ-દેવડ પૈકી ૯૬ ટકા લેવડ-દેવડ રોકડમાં થાય છે. જ્યારે બાકીની ૪ ટકામાંથી ૩ ટકા લેવડ-દેવડ ચેક મારફતે થાય છે. જ્યારે માત્ર ૧ ટકા લેવડ-દેવડ ડીઝીટલ ફોર્મેટમાં થાય છે.
ભારતીય વેપારી સંઘે નાના દુકાનદારો અને વેપારીઓમાં ડીઝીટલ લેવડ-દેવડ અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે આ સર્વે કર્યો હતો. જોકે સર્વેથી સ્પષ્ટ થઈ ગયુ છે કે ભારત આજે ૨૧મી સદીમાં પણ કેશ આધારીત અર્થવ્યવસ્થા છે. કોડ આધારીત ડીઝીટલ પેમેન્ટની સેવા પુરી પાડતી કંપની માસ્ટર કાર્ડ પણ આ સર્વેમાં જોડાઈ હતી. જેનુ કહેવુ છે કે ભારતમાં અત્યારે કુલ વસ્તીના માત્ર ૧૦ ટકા લોકો એટલે કે ૧૨૭ કરોડની વસ્તીમાંથી માત્ર ૧૨ કરોડ લોકોને જ ડીઝીટલ સિસ્ટમનો ઉપયોગ કરતા આવડે છે. સ્વીડનમાં આ આંકડો ૯૭ ટકા છે.
કેનેડમાં ૯૦ ટકા અને ઈંગ્લેન્ડમાં ૮૯ ટકા લોકો ડીઝીટલ સિસ્ટમનો ઉપયોગ કરે છે. વેપારી સંઘના જણાવ્યા મુજબ તેમણે નાના વેપારીઓને ડીઝીટલ સિસ્ટમ અંગે માહિતી આપવા માટે છેલ્લા બે વર્ષથી મોટુ અભિયાન ચલાવેલુ છે. જેમાં માસ્ટર કાર્ડ અને એચડીએફસી બેંક પણ ભાગીદાર છે. જોકે બે વર્ષ દરમિયાન કરવામાં આવેલ અનેક પ્રયત્નો છતા હજી પરિણામ લગભગ શુન્ય જેવુ જ છે. એક સત્ય એ પણ છે કે ભારતમાં કુલ વસ્તીના પ્રમાણમાં ઉપલબ્ધ સ્વેપ મશીનોનુ પ્રમાણમાં ખૂબ ઓછુ છે. ભારતમાં પ્રતિ ૧૦ લાખ વ્યક્તિએ ૬૯૦ સ્વેપ મશીન છે. ચીનમાં આ પ્રમાણ પ્રતિ ૧૦ લાખે ૪ હજાર છે
ભારતમાં કુલ સ્વેપ મશીન પૈકી ૭૦ ટકા સ્વેપ મશીન ટોચના ૧૫ શહેરોમાં જ છે. એટલે કે સરેરાશ બે રાજ્યો વચ્ચે એક જ શહેર એવુ છે કે જ્યાં સ્વેપ મશીન છે. આવી સ્થિતિમાં સરકાર અત્યારે ગમે તેટલો પ્રયત્ન કરે પરંતુ ભારતને કેશલેસ સિસ્ટમ બનાવવી મુશ્કેલ જ નહીં પણ અશક્ય છે.જેનુ સૌથી મોટુ કારણ એ પણ છે કે ભારતમાં હજી કુલ વસ્તીના ૩૦ ટકાથી વધુ લોકો એટલે કે ૪૦ કરોડ લોકો અંગુઠા છાપ છે. આ વ્યક્તિઓ પોતાની માતૃ ભાષામાં વાંચવા-લખવાનુ પણ જાણતા નથી. ત્યારે આવા લોકોને ડીઝીટલ પેમેન્ટ સિસ્ટમ કેવી રીતે શિખવવી એ સરકાર માટે સૌથી મોટો પડકાર બની રહેશે.