નવી દિલ્હી: રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની જૂની નોટો કાનૂની ચલણમાંથી નાબૂદ થવાના પગલે જમ્મુ-કાશ્મીરના આતંકવાદીઓ અને દેશભરમાં ફેલાયેલા નકસલવાદીઓની કમર તૂટી ગઈ છે. એક બાજુ કાશ્મીરમાં હવાલા દ્વારા આતંકવાદીઓ અને અલગતાવાદીઓને પહોંચતાં નાણાંમાં ઘણો ઘટાડો થયો છે તો બીજી બાજુ નક્સલીઓએ મોટી કરન્સીના સ્વરૂપમાં જે રૂપિયા જમા કરી રાખ્યા હતા તે હવે બેકાર થઈ ગયા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે કાશ્મીરમાં આતંકીઓ અને અલગતાવાદીઓ સુધી જે નાણાં પહોંચતાં હતાં તે મોટા ભાગે રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની જૂની નોટોના સ્વરૂપમાં હતાં. હવે જૂની નોટો પર પ્રતિબંધ મૂકવાથી તેમનાં નાણાં ભંડોળમાં જબરદસ્ત ઘટાડો થયો છે. બીજી બાજુ દેશનાં કેટલાંય રાજ્યમાં ફેલાયેલા માઓવાદી જૂથ ખાસ કરીને બિહાર અને ઝારખંડના માઓવાદીઓએ ખંડણી દ્વારા જે જંગી રૂપિયા જમા કર્યા હતા તે હવે તેમના માટે કોઈ કામમાં આવે તેમ નથી.
જમ્મુ-કાશ્મીરમાં ટેરર ફંડિંગ પર નજર રાખનાર એક ઈન્ટેલિજન્સ અધિકારીએ જણાવ્યું હતું કે રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની જૂની નોટો પર પ્રતિબંધ મૂક્યા બાદ હવાલા ચેનલ દ્વારા આવતાં નાણાંનો સ્રોત બંધ થઈ ગયો છે. હવે હિંસા અને દેખાવો કરવા માટે નાણાં નથી અને તેથી આવાં કામોને અંજામ આપનારાં તત્ત્વો ચૂપચાપ બંધ બેસી ગયાં છે.