નવી દિલ્હી: પીએમ મોદીએ 8 નવેમ્બરના રોજ નોટબંધીની જાહેરાત કરીને 500 અને 1000ની નોટને માર્કેટમાંથી પરત ખેચી લીધી હતી. આ પગલાંના કારણે દેશના અર્થતંત્રને આશરે 5 લાખ કરોડનો ફાયદો થયો છે.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, નોટબંધીના નિર્ણય સમયે ભારતીય અર્થવ્યવસ્થામાં આશરે 17.77 લાખ કરોડ રૂપિયાની નોટ ચલણમાં હતી. જ્યારે 2017માં ઉપયોગમાં આવેલી બેન્ક નોટનું મૂલ્ય આશરે 19.25 કરોડ સુધી પહોચ્યું હતું.
જો કે, એપ્રિલમાં રિઝર્વ બેન્ક તરફથી જાહેર કરાયેલા આંકડા મુજબ, કુલ 14.2 લાખ કરોડની નોટ ચલણમાં છે. મતલબ સાફ છે કે અત્યારે અર્થવ્યવસ્થામાં નોટબંધીના સમય કરતાં રોકડ રકમ 5 લાખ કરોડ ઓછી છે.
આ રિપોર્ટ પરથી કહી શકાય કે લોકો પાસે પણ રહેલી રોકડ રકમમાં ઘટાડો નોંધાયો છે અને લોકો ડિજિટલ બેન્કિંગ તરફ વળ્યા છે. આ સિવાય નોટબંધીના બીજા ફાયદાઓમાં ડિજિટલ બેન્કિંગ, ટેક્સમાં આધારનો વધારો, બેન્કમાં જમા કરાયેલ રાશિમાં વધારો અને હાઉસિંગ સેકટરમાં મજબૂતી જોવા મળી રહી છે.
રિપોર્ટમાં જણાવાયા મુજબ, અત્યારે અર્થવ્યવસ્થામાં 14.2 લાખ કરોડ રોકડ રકમ છે જે જરૂરી ટ્રાન્જેકશન માટે પૂરતી છે.
નોટબંધીનો સૌથી મોટો ફાયદો એ છે કે લોકોએ નાણાકીય વર્ષ 2016-17માં 300 કરોડનું ડિજિટલ ટ્રાન્જેકશન કર્યું છે. જ્યારે એક અનુમાન મુજબ નાણાકીય વર્ષ 2017-18માં આ આંકડો 2500 કરોડનો થશે.