અમદાવાદ, તા. 2 : નોટબંધી બાદ આવકવેરા વિભાગે ગુજરાતમાં 21 જગ્યાએ દરોડા અને તપાસની કાર્યવાહી હાથ ધરીને રૂા. 51 કરોડ 40 હજારની કરચોરી પકડી પાડી છે. જ્યારે રૂા. 500 અને રૂા. 1000 ઉપરાંત નવી ચલણી નોટ સાથે 10 વ્યક્તિઓ પકડાઇ છે. જેમની પાસેથી મળી આવેલ રોકડ સંદર્ભે પૂછપરછ કરતાં રોકડ સાથે પકડાયેલ વ્યક્તિઓએ રૂા.1.75 કરોડની કરચોરી કબૂલી છે. નોટબંધી બાદ રોકડની હેરફેર કરતી પકડાયેલી વ્યક્તિઓનાં નિવેદન લેવાયાં છે અને તેમની પાસેથી મળેલ રોકડ અંગે તપાસ ચાલી રહી છે.આવકવેરાના દરોડા અને તપાસમાં આવકવેરા વિભાગના અધિકારીઓને નાણાંની સતત લેવડદેવડ કરનારાઓની યાદી મળી છે, તો ચેક સામે રોકડ આપતા હોવાની વિગતો પણ મળી આવી છે. કેટલાક કિસ્સામાં વ્યાજે નાણાંની ધિરધાર કરતા હોવાના દસ્તાવેજી પુરાવાઓ મળ્યા છે. નોટબંધીના પગલે આવકવેરા વિભાગે ગુજરાતમાં બોલાવેલા સપાટાને પગલે જૂની-નવી ચલણી નોટોની હેરફેર કરનાર અને કરચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આવકવેરા વિભાગનાં સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, નોટબંધી બાદ આવકવેરા વિભાગે 21 સર્ચ-સર્વેની કામગીરી કરી છે. આ સર્ચ અને સર્વેમાં 51.04 કરોડની કરચોરી પકડાઇ છે. દરમિયાન અમદાવાદમાં 6, સુરતમાં 4 સર્ચ અને સર્વેની કામગીરી કરાઇ જેમાં 49.3 કરોડની કરચોરી પકડાઇ છે. આવકવેરા વિભાગને સર્ચ અને સર્વેમાં હિસાબી દસ્તાવેજો હાથ લાગ્યા છે. તેમ જ નાણાંની લેવડ-દેવડ કરનારાઓનાં નામની યાદી પણ મળી આવી છે. જ્યારે ચલણી નોટ લઇ જતી 11 વ્યક્તિઓની કરાયેલી પૂછપરછમાં તેઓએ 1.74 કરોડની કરચોરી કબૂલી છે.
ચલણી નોટ સાથે પકડાયેલી વ્યક્તિઓમાં પ્રશાંત વ્યાસ પાસેથી 24 લાખ, ગુણવંત પટેલ પાસેથી 1.19 કરોડ, ચિંતન ભંડારી પાસેથી 28 લાખ, રજનીકાંત ખૂંટ પાસેથી 2.5 કરોડ, રવિ વાંઝા પાસેથી 50 લાખ, મોહમદ મકરાણી પાસેથી 5 લાખ, સતિષ કરોલા પાસેથી 1.15 કરોડ, રાજા માડમ પાસેથી 22 લાખ, પ્રતિક કથરોટિયા પાસેથી 6 લાખ અને હિરા સંઘવી પાસેથી 1 કરોડની નોટ પકડાઇ છે.