પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફના વિદેશી બાબતોને લગતા સલાહકાર સરતાજ અઝીઝે ભારતની રિસર્ચ એન્ડ એનેલિસીસ વિંગ (રો)ના કહેવાતા જાસૂસ કુલભૂષણ જાધવની સામે પુરાવાનો અભાવ હોવાની બુધવારે કબૂલાત કરી હતી.
સરતાજ અઝીઝે પાકિસ્તાનના સંપૂર્ણ સેનેટ ચેમ્બરને જણાવ્યું હતું કે ભારતના કહેવાતા જાસૂસ કુલભૂષણ જાધવ સામેની ડોઝિયરમાં માત્ર નિવેદનોનો સમાવેશ થાય છે. તેની સામે જાસૂસીનો ગુનો સાબિત કરવા વધારે પુરાવા ભેગા કરવાની જરૂર છે. પાકિસ્તાને આક્ષેપ કર્યો હતો કે બલૂચિસ્તાનના ક્વેટા ખાતેથી ચાલુ વર્ષના માર્ચમાં પકડાયેલો જાધવ રોનો એજન્ટ છે. તેમણે જણાવ્યું હતું કે ડોઝિયરમાં પુરાવાનો અભાવ છે. હવે પુરાવા ભેગા કરવાનું કામ સંબંધિત સત્તાવાળાનું છે. ઇસ્લામાબાદ પકડાયેલા આ કહેવાતા જાસૂસનો દુરુપયોગ, ભારત દ્વારા બલૂચિસ્તાનમાં ત્રાસવાદ ફેલાવવામાં આવતો હોવાનું કહેતા પોતાના આક્ષેપ્ના સમર્થન માટે કરી રહ્યો છે.
પાકિસ્તાન જાધવની કહેવાતી શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે યુરોપિયન યુનિયન અને સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિના કાયમી સભ્ય રાષ્ટ્રોને જાણકારી આપી રહ્યું છે. પાકિસ્તાને જાધવ ભારતના નૌકાદળનો અધિકારી હોવાની કબૂલાત કરતો વીડિયો પણ બહાર પાડ્યો હતો. ભારતે પણ જાધવ ભારતીય નૌકાદળનો નિવૃત્ત અધિકારી હોવાનું સ્વીકાર્યું છે, પરંતુ તે પાકિસ્તાનમાં જાસૂસી કરી રહ્યો હોવાના આક્ષેપ્ને નકાર્યો હતો.