મણિપુરની સ્થિતિને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠક સંસદ ભવનમાં થઈ રહી છે, જેમાં જેપી નડ્ડા પણ સામેલ છે. ટીએમસી સાંસદ ડેરેક ઓ’બ્રાયન, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે સંગમા, આરજેડીના મનોજ ઝા, પશુપતિ પારસ અને સીપીઆઈ(એમ)ના સાંસદ જોન બ્રિટાસ બેઠકમાં હાજર છે. મમતા બેનર્જી અને શરદ પવારે આ બેઠકથી પોતાને દૂર રાખ્યા છે, જોકે ટીએમસીના સાંસદો બેઠકમાં હાજર છે.
અમિત શાહે હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી
મણિપુરમાં 3 મેથી શરૂ થયેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે. હિંસામાં 100 થી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે 50,000 થી વધુ લોકોએ તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ આશ્રય લીધો છે. લૂંટાયેલા છ હજાર હથિયારોમાંથી 1500 પણ પરત આવ્યા નથી. સુરક્ષા દળોના જવાનોનો રસ્તો રોકીને અવરોધ કરવામાં આવી રહ્યો છે. હવે આસામ રાઈફલ્સ સહિત અન્ય સુરક્ષા દળો પર પણ હુમલા શરૂ થઈ ગયા છે જેને જોતા કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ બેઠક બોલાવવામાં આવી છે. વિપક્ષ લાંબા સમયથી સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી રહ્યો હતો.
કોંગ્રેસ સતત ભાજપને નિશાન બનાવી રહી છે
રાજ્યમાં શાંતિ અને સૌહાર્દની અપીલ કરતા કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે મણિપુરમાં લોકોના જીવનને બરબાદ કરતી અભૂતપૂર્વ હિંસાએ આપણા રાષ્ટ્રના અંતરાત્મા પર ઊંડો ઘા કર્યો છે. ભાજપ શાસિત રાજ્ય મણિપુરમાં હિંસા ફાટી નીકળી ત્યારથી કોંગ્રેસ મણિપુરને લઈને પીએમ મોદીને નિશાન બનાવી રહી છે.
મણિપુરમાં ઈન્ટરનેટ બંધ
મેઇતેઇ સમુદાય દ્વારા અનુસૂચિત જનજાતિ (ST) દરજ્જાની માંગના વિરોધમાં 3 મેના રોજ પહાડી જિલ્લાઓમાં ‘આદિવાસી એકતા કૂચ’નું આયોજન કર્યા પછી મણિપુરમાં હિંસક અથડામણો ફાટી નીકળી છે. હિંસામાં અત્યાર સુધીમાં લગભગ 120 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 3,000 થી વધુ લોકો ઘાયલ થયા છે. રાજ્યમાં ચાલી રહેલી અશાંતિને ધ્યાનમાં રાખીને ઈન્ટરનેટ પ્રતિબંધ 25 જૂન સુધી લંબાવવામાં આવ્યો છે.