અમિત શાહ મંગળવારે ઇમ્ફાલમાં મુખ્યમંત્રી એન બિરેન સિંહ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને મળ્યા હતા અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું અને હિંસાગ્રસ્ત રાજ્યમાં સામાન્ય સ્થિતિને પાછી લાવવાની યોજના ઘડી હતી. આ સાથે મુખ્યમંત્રીના નિવાસસ્થાને સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી.
ઇમ્ફાલ, મણિપુરની ત્રણ દિવસની મુલાકાતે સોમવારે ઇમ્ફાલ પહોંચેલા અમિત શાહે અત્યાર સુધીમાં અનેક બેઠકો કરી છે. મણિપુરમાં શાંતિ અને સામાન્ય સ્થિતિ લાવવાના પ્રયાસરૂપે કેન્દ્રીય મંત્રી અમિત શાહે ઈમ્ફાલમાં સર્વપક્ષીય બેઠક યોજી છે. આ સર્વપક્ષીય બેઠક મુખ્યપ્રધાનના નિવાસ સ્થાને થઈ છે.
મણિપુરમાં 3 મેથી વંશીય હિંસામાં ઓછામાં ઓછા 75 લોકો માર્યા ગયા છે અને 300 લોકો ઘાયલ થયા છે. આ પહેલા અમિત શાહ સોમવારે મણિપુરના રાજ્યપાલ અનુસુયા ઉઇકેને પણ મળ્યા હતા. શાહે રાજ્યમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે મુખ્યમંત્રી એન બિરેન સિંહ અને રાજ્યના મંત્રીઓ, વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી.
મૃત્યુ પામેલા લોકોને 10 લાખ રૂપિયાનું વળતર
કેન્દ્ર અને મણિપુર રાજ્ય સરકારે મણિપુરમાં વંશીય સંઘર્ષ દરમિયાન મૃત્યુ પામેલા લોકોને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવાનો પણ નિર્ણય કર્યો છે. રમખાણોમાં માર્યા ગયેલા લોકોના પરિવારના એક સભ્યને નોકરી પણ આપવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે વળતરની રકમ કેન્દ્ર અને રાજ્ય સમાન રીતે વહન કરશે. સોમવારે અમિત શાહ અને સીએમ એન બિરેન સિંહ વચ્ચેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.