અમદાવાદ તા. ૩ : નોટબંધીથી ચારેતરફ લોકો હેરાનપરેશાન છે , ત્યારે શાકભાજીના ભાવ સાવ તળિયે પહોંચી જતા ગૃહિણીઓથી લઇને સામાન્ય માણસને પણ મોટી રાહત મળી છે. શિયાળાની શરૂઆત થઇ ગઇ છે અને મોટાભાગના શિયાળુ શાકભાજી ૨૦થી ૨૫ રૂ. કિલો વેચાઇ રહ્યા છે. સામાન્ય દિવસોમાં ૪૦થી ૫૦ રૂપિયે કિલો વેચાતી શાકભાજી હાલ સાવ ઓછી કિમતે વેચાઇ રહી હોવાથી ગૃહિણીઓ રાજીની રેડ થઇ ગઇ છે. પરંતુ સસ્તા શાકભાજીની બીજી વરવી વાસ્તવિકતા એવી છે કે નોટબંધીના લીધે ખેડૂતો પાયમાલ થઇ રહ્યા છે અને તેઓ ફેંકી દેવાના ભાવે શાકભાજી હોલસેલ બજારોમાં વેચવા મજબૂર બની ગયા છે…!
શિયાળાની સિઝનમાં લીલા શાકભાજીનું આગવું મહત્ત્વ હોય છે અને ઊંધીયુથી માંડીને લીલવાની કચોરી જેવી અનેક વરાયટી આ સિઝનમાં આવતી શાકભાજીથી બનાવવામાં આવે છે. દર વર્ષે શિયાળાના પ્રારંભમાં શાકભાજીઓના ભાવમાં તેજીનો તોખારો જોવા મળે છે અને તબક્કાવાર રીતે ભાવ ઉતરતા હોય છે. પરંતુ નોટબંધીની અસરથી ખેડૂતો ફેંકી દેવાના ભાવે પણ શાકભાજી હોલસેલમાં વેચીને જતા રહે છે અને તેથી છુટક વેપારીઓને સસ્તા ભાવે શાકભાજી મળી રહી છે. માર્કેટમાં નાણાંની તીવ્ર તંગી હોવાથી છૂટક વેપારીઓ પણ નફો રળવાની લાલચ કર્યા વિના માલ કાઢી નાંખવાનો રાહ અપનાવે છે અને શાકભાજી સસ્તામાં જ વેચી કાઢે છે.
હોલસેલ બજારોમાં અત્યારે મોટાભાગના શાકભાજી એક રૂપિયે કિલો જેટલા સાવ તળિયાના ભાવ સુધી પહોંચી ગઇ છે. કોબીજ અને ફુલાવર ચારથી દસ રૂપિયે કિલો અને મેથી-દૂધી પણ ચારથી આઠ રૂપિયે કિલો વેચાઇ રહી છે. નોંધપાત્ર છે કે આ જમાલપુર એપીએમસી બજારના સત્તાવાર ભાવ છે. ખેડૂતોએ તો આનાથી પણ ઓછી કિમતે શાકભાજી વેચી હશે.
આ જ શાકભાજી હાલ બજારમાં ૨૦દ્મક ૨૫ રૂપિયે કિલો વેચાઇ રહી છે. મેથી ૧૫ રૂ. , મૂળા ૧૦ રૂ., ફુલાવર અને કોબીજ ૨૦ રૂ., પાપડી ૨૫ રૂ. કિલો વેચાઇ રહી છે. એની સાથે સાથે ૧૦૦થી ૧૫૦ રૂ. કિલો વેચાતા લીંબુ પણ આજકાલ ૨૦ રૂ. કિલો વેચાઇ રહ્યા છે…!
વેપારીઓનું કહેવું છે કે,‘હાલ લોકો પાસે રૂપિયા નથી અને છુટ્ટાની પણ બહુ મોટી રામાયણ છે. તેથી ઘણા વેપારીઓ નહીં નફો નહીં નુકસાનના ધોરણે પણ શાકભાજી વેચી રહ્યા છે.‘ આ જ વેપારીઓ ગૃહિણીઓને બારેમાસ કૃત્રિમ ભાવવદારો કરીને લૂંટ ચલાવે છે, પરંતુ નોટબંધીના લીધે તેઓ પણ રસ્તે આવી ગયા છે…!
લગ્નોની સિઝન છતાંય ભાવ તળિયે…!
લગ્નોની સિઝન હોવાથી દર વર્ષે શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતા હોય છે. પરંતુ અત્યારે લગ્નોની સિઝન હોવા છતાંય ભાવ સાવ તળિયે છે. જે દર્શાવે છે કે લગ્નોમાં પણ શાકભાજીની માંગ ઓછી થઇ ગઇ છે જેથી બજારોમાં શાકભાજી ઠલવાઇ રહી હોવાથી લોકોને સસ્તા ભાવે મળી રહી છે.
ઢગલાબંધ રીંગણ-રવૈયા ફેંકી દેવાય છે
શાકભાજીના બજારમાં અત્યારે સૌથી ખરાબ પરિસ્થિતિ રિંગણ-રવૈયાની છે. આ શાકભાજી ૧૦ રૂ. કિલો વેચાઇ રહી છે. તે ખૂબ જલ્દી પાકી જતા હોઇ તેનો નિકાલ કરવો પડે છે. બે દિવસ આ શાક ના વેચાય તો વેપારીઓ ફેંકી દે છે.
તુવેર-વટાણા હજુ પણ ૫૦ રૂ. કિલો બોલાય છે..!
શિયાળામાં તુવેર અને વટાણાની સૌથી વધુ માગ હોય છે અને આ સિઝનમાં ગૃહિણીઓને સૌથી વધુ પ્રિય હોય છે. પરંતુ હજુ પણ આ બંને શાકના ભાવ ૫૦ રૂ. કિલો ચાલી રહ્યા છે. જો કે દર વર્ષના પ્રમાણમાં તેના ભાવ ઓછા છે. વેપારીઓ કહે છે કે તુવેર-વટાણાના ભાવ પણ આગામી અઠવાડિયાથી દ્યટી જશે. સિઝન શરૂ થતાં જ ગાજર પણ ૨૦ રૂ. કિલો વેચાઇ રહી છે.