નવી દિલ્હીઃ કેન્દ્રીય વિદેશ મંત્રી અને ભાજપના અગ્રિમ નેતા સુષ્મા સ્વરાજની તબિયત બગડતા તેમને એમ્સ દાખલ કરવામાં આવ્યાં છે. મળતી માહિતી મુજબ તેમની કિડની ફેલ થઇ ગઇ છે. જેના કારણે તેમને ડાયાલિસિસ પર રાખવામાં આવ્યાં છે. વિદેશમંત્રીએ ટવિટર પર આ મામલે માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે જલ્દી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.
છેલ્લાં કેટલાય સમયથી વિદેશમંત્રીની તબિયત ખરાબ છે. જેના કારણે તેમને અનેક વખત એમ્સમાં દાખલ થવું પડે છે. પહેલાં પણ એક અઠવાડિયા સુધી તેઓ હોસ્પિટલમાં દાખલ રહ્યાં હતા. ત્યારે આજે ફરી તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેમણે પોતાની તબિયત જલ્દી સાજી થઇ જવા અંગે ટવિટર પર જણાવ્યું છે. સાથે જ લખ્યું છે કે કૃષ્ણ ભગવાનની કૃપાથી હું જલ્દી સાજી થઇ જઇશ. સુષ્મા એક સક્રિય રાજકારણી છે. જેઓનું ભાજપમાં ઉમદા યોગદાન છે. વિદેશમંત્રી તરીકે તે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લોકોના સતત સંપર્કમાં રહીને તેમની મદદ કરતા રહે છે.