નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. અને એટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે કે ભારત હવે વિશ્વમાં પહેલા નંબર ઉપર પહોંચવા જઈ રહ્યો છે. દેશમાં કોરોનાનો કહેરનો અંદાજો એ વાતથી પણ લગાવી શકાય છે કે દુનિયાના ટોપ-20 સંક્રમિત શહેરોની યાદીમાં ભારતના 15 શહેર સામેલ છે. પુણે આ યાદીમાં ટોપ પર છે. મુંબઈ બીજા સ્થાને છે. દેશના લગભગ 120 જિલ્લામાં હાસ્પિટલોમાં પથારીઓ, ઓક્સીજન અને વેન્ટીલેટર જેવી જરૂરી સુવિધાઓની પણ ભારે અછત સર્જાઈ ગઈ છે.
શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,17,353 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 1,185 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,42,91,917 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 11,72,23,509 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
કોવિડ-19ની મહામારી સામે લડીને 1 કરોડ 25 લાખ 47 હજાર 866 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 1,18,302 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 15,69,743 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,74,308 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 15 એપ્રિલ સુધીમાં ભારતમાં કુલ 26,34,76,625 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુરૂવારના 24 કલાકમાં 14,73,210 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં પણ કોરોનાની સ્થિતિ બેકાબૂ થઈ રહી છે. રાજ્યમાં કોરોના વાયરસના એક દિવસમાં રેકોર્ડબ્રેક 8,152 નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં કુલ 81 દર્દીઓનાં મોત થયા છે. આ સાથે જ અત્યાર સુધીના સૌથી વધુ એક્ટિવ કેસ હવે ગુજરાતમાં છે. એક્ટિવ કેસનો આંકડો 44298, મૃત્યુઆંક 5000ને વટાવી ગયો, અમદાવાદમાં 2672 કેસ નોંધાયા છે.