નવી દિલ્હીઃ એક તરફ કોરોનાને હરાવવા માટે ભારતમાં કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ ભારતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. શનિવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે અત્યારસુધી દેશમાં 1,94,97,704 લોકોએ કોરોનાની રસી લીધી છે. કોરોનાના કેસની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,327 નવા કેસ નોંધાયા છે. તેની સામે 14,234 લોકો સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 108 લોકોનાં મોત કોરોનાથી થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ માહિતી આપી હતી. દેશમાં સૌથી વધારે ચિંતાજનક સ્થિતિ મહારાષ્ટ્રમાં છે.
આ સાથે જ દેશમાં કોરોનાના અત્યારસુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા 1,11,92,088 થઈ છે. તેની સામે 1,08,54,128 લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાથી કુલ 1,57,656 મોત થયા છે. હાલ દેશમાં કોરોનાના 1,80,304 સક્રિય કેસ છે.
ગુજરાતમાં શુક્રવારના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 515 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં દૈનિક કેસનો આંકે 500ની સપાટી વટાવી હોય તેવું 17 જાન્યુઆરી એટલે કે 47 દિવસમાં પ્રથમવાર બન્યું છે. હાલમાં 2858 એક્ટિવ કેસ છે જ્યારે 43 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં વધુ એક મૃત્યુ સાથે કોરોનાથી કુલ મરણાંક 4413 છે. રાજ્યમાં અત્યારસુધી કોરોનાના કુલ 272240 કેસ નોંધાઇ ચૂક્યા છે.
શુક્રવારે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ-સુરત-વડોદરા એમ 3 જિલ્લામાં કોરોનાના 100થી વધુ કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં 113-ગ્રામ્યમાં 2 સાથે ૧૧૫, સુરત શહેરમાં 101-ગ્રામ્યમાં 9 સાથે 110 અને વડોદરા શહેરમાં 99-ગ્રામ્યમાં 4 સાથે 103 કેસનો સમાવેશ થાય છે. આ સાથે કુલ કેસનો આંક અમદાવાદમાં 63329, સુરતમાં 54280 અને વડોદરામાં 30273 છે.