Greater Noida: ગ્રેટર નોઈડાની એક હોસ્ટેલમાંથી ભોજન ખાધા બાદ લગભગ 200 વિદ્યાર્થીઓની તબિયત લથડી છે. તમામ બીમાર વિદ્યાર્થીઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર તમામ વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગના કારણે બીમાર પડ્યા છે. હાલ પોલીસે આ મામલે તેમની તપાસ હાથ ધરી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે નોલેજ પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારની આર્યન રેસિડેન્સી અને લોયડ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓની તબિયત લથડી છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે હોસ્ટેલ દ્વારા તેમને ખરાબ ભોજન પીરસવામાં આવે છે.
પીડિત વિદ્યાર્થીઓએ હોસ્ટેલ સંચાલક પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. કોતવાલી નોલેજ પાર્ક પોલીસનું કહેવું છે કે આ મામલો તેમના ખ્યાલમાં છે, 8 માર્ચની સાંજે વિદ્યાર્થીઓને આ પ્રકારનું ભોજન પીરસવામાં આવ્યું હતું. જેના કારણે વિદ્યાર્થીઓને પેટમાં ગરબડ થઈ ગઈ હતી. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની નાદુરસ્ત તબિયતની માહિતી મળ્યા બાદ અસરગ્રસ્ત તમામ વિદ્યાર્થીઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તમામ વિદ્યાર્થીઓ ખતરાની બહાર છે. પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. જો કે આ કેસમાં હજુ સુધી કોઈની અટકાયત કરવામાં આવી નથી.