ફેસબુકનો જિયો સાથે 5.7 અબજ ડોલર (રૂ. 43,574 કરોડ)નો સોદો કરીને જિયોનું વેચાણ કર્યા બાદ રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝના સીનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ અને આંધ્ર પ્રદેશમાંથી રાજ્ય સભાના ઉમેદવાર પરિમલ નથવાણીએ ભારતના અર્થતંત્ર અંગે જણાવ્યું છે.
કોરોનાનો ફટકો અર્થતંત્ર પર પડશે. 3 ટ્રિલિયન ડોલરના ભારતીય અર્થતંત્ર પર લગભગ 1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડશે અને જી.ડી.પી. ઘટીને 1.9 ટકા કે 1.6 ટકા થઇ જશે તેવું નિષ્ણાંતો માને છે. જોકે કોરોના મહામારી આવી તે અગાઉથી અર્થતંત્ર નબળું તો પડી જ રહ્યું હતું. કોરોના મહામારી એ પડતા અર્થતંત્ર પર પાટુ કહી શકાય.
કોરોનાને લીધે ચીન વિરુદ્ધ વૈશ્વિક મત ધીમે-ધીમે જોર પકડી રહ્યો છે. તેનો લાભ ભારતને મળી શકે તેમ છે. અમેરિકા અને જાપાનની ઘણી કંપનીઓએ ચીનમાંથી ખસી જવા મન બનાવી લીધું છે અને તે દેશોની સરકારો પણ તે માટે તેમની કંપનીઓને ચીનમાંથી નીકળવા પ્રોત્સાહનો જાહેર કરવા માંડ્યા છે ત્યારે આ પ્રકારની તક કેવી રીતે ઝડપી લેવી તે નક્કી કરવાનું કામ સરકારનું છે.
દેશની સરકાર તથા મોટી ઓઇલ કંપનીઓ માટે ક્રૂડ ઓઇલ ખરીદવાની ‘ને તેના સોદા કરવાની એક મોટી તક કોરોનાએ આપી છે. આ સંજોગોમાં નાણાંની તંગી પણ છે. ક્રૂડ ઓઇલના ભાવ છેલ્લાં વીસ વર્ષમાં જેટલા નથી ઘટ્યા તેટલા ઘટ્યા છે.
વાઇરસ ફરી ઉથલો મારે તો, બીજા વધુ લોકડાઉનમાંથી ગુજરવું પડે! ધંધા-રોજગાર અને ઉદ્યોગ-વ્યવસાયે તે મુજબનાં આયોજનો કરવાં પડે!
ડિજીટલ અર્થતંત્રમાં ઘેર બેસીને કામ કરવું, ઘેર જ શિક્ષણના વર્ગો, ઘરમાં જ મનોરંજન, નેટ બેન્કિંગ, ઇ-કોમર્સ, ઇ-રિટેલ વિગેરેનો ઉપયોગ વધે. આ બધાને લીધે મોંઘીદાટ ઓફિસો, તેમાં ઇન્ટિરિયર વિગેરે ખર્ચા, ફેન્સી કાર, સરપ્લસ કર્મચારીઓ વિગેરેને લગતા ખર્ચા ઘટે અથવા ઘટાડવા પડે અને ડિજીટલ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવું પડે!
અર્થતંત્ર ઉપર પડનારા ભારે ફટકાને લીધે ગરીબ અને તવંગર વચ્ચેની ખાઈ તો વધુ પહોળી થશે. વીસેક કરોડ લોકો ગરીબીમાં ધકેલાઈ જઈ શકે!
વધુ ચલણી નોટો છાપવી તે એક ઉપાય જરૂર છે. પરંતુ આર્થિક રીતે સક્ષમ, મજબૂત અને પૈસાદાર દેશોને તેમ કરવું પોસાય! ભારત જેવા દેશ માટે આવું પગલું ફૂગાવાને આમંત્રણ આપનારું નીવડે છે.
વિદેશી મૂડી રોકાણ એ જ આગળ જણાવ્યું તેમ આ સ્થિતિનો એક ઉકેલ છે. સરકારે બને તેટલી મૂડી ભારતમાં આવે તેવા પ્રયાસો કરવા જોઈએ અને તે માટેના આર્થિક સુધારા કરવા જોઈએ.
નિકાસમાં વિશ્વસનીયતા ઊભી કરવી રહે, જે બાંગ્લાદેશે કર્યું છે. ખોટાં વચનો ન આપવાં, જે વચનો આપ્યાં હોય તેનું પાલન કરવું, ગુણવત્તા ખાતરીબંધ હોય, સમયસર માલનો સપ્લાય થાય વગેરે જેવી નાની નાની બાબતો આવી વિશ્વસનીયતા ઊભી કરવામાં ખૂબ ઉપયોગી નીવડે.
કોરોના મહામારીને લીધે વર્ષ 2020માં વૈશ્વિક અર્થતંત્રમાં એક ટકાનો ઘટાડો થાય તેવું સંયુક્ત રાષ્ટ્રસંઘનું અનુમાન છે. સરકારો જો લોકોની આવક વધારવામાં મદદગાર સાબિત ન થાય અને ઉપભોક્તા ખર્ચને પ્રોત્સાહન ન આપે તો આ ઘટાડો વધી પણ શકે. કોરોનાના જનક ચીન તથા જી-7 સમૃદ્ધ દેશોનાં અર્થતંત્રોમાં પણ 1.2 ટકાનો ઘટાડો નિષ્ણાતો જોઈ રહ્યા છે.
આ સંજોગોમાં ભારતીય અર્થતંત્રનું ભાવિ ઉજ્જવળ છે તેની પ્રતીતિ તાજેતરમાં મેકેન્સી નામની સંસ્થાએ વૈશ્વિક ઉદ્યમીઓના કરેલા એક સર્વેક્ષણમાંથી થાય છે. તે સર્વે મુજબ 53 ટકા ભારતીય ઉદ્યમીઓ ખૂબ આશાવાદી છે જ્યારે જાપાનમાં માત્ર 25 ટકા ઉદ્યમીઓ જ અર્થતંત્ર માટે આશાવાદી હતા!