મુંબઈઃ મહારાષ્ટ્રમાં રસિકરણ પ્રક્રિયામાં મોટી ચૂક સામે આવી હતી. અહીં 59 વર્ષીય શિશિરકુમાર સાલુંખ નામના રિટાયર્ડ ઈન્ડિયન આર્મી હવાલદારે રસીનો પ્રથમ ડોઝ કલાંબોલી હેલ્થ સેન્ટરમાં લીધો હતો. કલાંબોલી હેલ્થ સેન્ટરના સ્ટાફે તેમને કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધો હોવાનું સર્ટિફિકેટ આપ્યું હતું. સાલુંખનો દીકરો જ્યારે બીજા ડોઝ માટે કમોઠે હેલ્થ સેન્ટરમાં પહોંચ્યો, ત્યારે તેના પિતાએ કલાંબોલી હેલ્થ સેન્ટરમાં કોવિશિલ્ડ નહીં, પરંતુ કોવેક્સીનની રસી લીધી હોવાનું સામે આવ્યું. સ્વાસ્થ્ય કર્મીની સતર્કતાથી સમગ્ર એરરની પોલ ખુલી હતી.
કમોઠે હેલ્થ સેન્ટરમાં સાલુંખનો દીકરો સાલુંખને બીજો ડોઝ આપવા માટે લઈને આવ્યો હતો. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર કમોઠે હેલ્થ સેન્ટરના સ્વાસ્થ્ય કર્મચારીઓને સાલુંખના વેક્સીન સર્ટિફિકેટમાં કંઈક અલગ જોવા મળ્યું. વેક્સીન સર્ટિફિકેટમાં સાલુંખને કોવિશિલ્ડનો ડોઝ આપ્યો હોવાનું જણાવ્યું હતું, પરંતુ જે સર્ટિફિકેટમાં જે બેચ નંબર દર્શાવેલ હતો તેના પરથી કોવેક્સીનનો ડોઝ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
સાલુંખનો દીકરો કાલાંબોલી સેન્ટર પર ગયો અને આ વેક્સીન સર્ટિફિકેટની ખામી વિશે જાણ કરી. આ મામલાની તપાસ કરતા કાલાંબોલી હેલ્થ સેન્ટરના કર્મચારીઓએ આ ભૂલનો સ્વીકાર કર્યો. ઉલ્લેખનીય છે કે, સાલુંખે NMMC હોસ્પિટલમાં 13 મેના રોજ વેક્સીનનો બીજો ડોઝ લીધો હતો.
આ પ્રકારની ઘટના ભારતમાં પહેલી વાર નથી થઈ. હાલમાં જ રસીકરણની પ્રક્રિયાનો ત્રીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે, જેમાં 18-45 એજ ગૃપના લોકો શામેલ છે. ઉત્તરપ્રદેશના કાનપુરમાં એપ્રિલમાં એક નર્સની ગેરજવાબદારીની ઘટના સામે આવી હતી. મંડૌલી હેલ્થ સેન્ટરમાં નર્સ મોબાઈલ ફોનમાં વ્યસ્ત હોવાને કારણે એક વ્યક્તિને વેક્સીનના બે ડોઝ આપી દીધા હતા.
ધ પ્રિન્ટના રિપોર્ટ અનુસાર 1.97% ભારતીયોને વેક્સીનના બે ડોઝ આપવામાં આવ્યા છે. રિપોર્ટમાં અન્ય માહિતી પણ આપવામાં આવી છે કે 30 એપ્રિલ સુધીમાં 9.24% ભારતીયોને વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે.