નવી દિલ્હીઃ એક તરફ દેશમાં કોરોના રસીકરણ અભિયાર જોરશોરથી ચાલી રહ્યું છે તો બીજી તરફ કોરોના ફૂલ સ્પીડે આગળ વધી રહ્યો છે. આજે સોમવારે કોરોના વાયરસની દેશમાં સ્થિતિ અંગે વાત કરીએ તો દેશમાં કોરોના વાયરસના નવા 18,599 કેસ નોંધાયા છે. જ્યારે દેશમાં કુલ મૃત્યુઆંક એક લાખ સત્તાવન હજારથી પણ વધી ગયો છે. આ ઉપરાંત એક્ટિવ કેસોમાં પણ વધારો નોંધાયો છે.
દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,09,89,010 લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,599 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 97 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,12,29,398 થઈ ગઈ છે.
કોવિડ-19ની મહામારી સામે લડીને 1 કરોડ 8 લાખ 82 હજાર 798 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 14,278 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,88,747 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,57,853 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 4 માર્ચ સુધીમાં ભારતમાં કુલ 22,19,68,271 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, રવિવારના 24 કલાકમાં 5,37,764 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.