Akaasa Air – ગઈ કાલે રાત્રે પૂણેથી દિલ્હી જતી આકાસા એરની ફ્લાઈટનું મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ લેન્ડિંગ ત્યારે કરવામાં આવ્યું જ્યારે ઉડતી ફ્લાઈટમાં એક મુસાફરે કહ્યું કે તેની બેગમાં બોમ્બ છે. આ પછી ફ્લાઈટને તાત્કાલિક મુંબઈ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી. જ્યારે પોલીસને આ અંગેની માહિતી મળી ત્યારે પેસેન્જર અને તેના સામાનની તપાસ કરવામાં આવી. ત્યારપછી જ્યારે પેસેન્જરે પોલીસને બોમ્બ ઈશ્યૂ પાછળનું સાચું કારણ જણાવ્યું તો બધા ચોંકી ગયા.
ચેકિંગ દરમિયાન પેસેન્જરે સાચી વાત કહી
એક અધિકારીએ જણાવ્યું કે ગઈકાલે રાત્રે લગભગ 2.30 વાગ્યે CISF ઓફિસર વીરેન્દ્ર સિંહે મુંબઈ પોલીસ કંટ્રોલની હોટલાઈન પર આ અંગેની જાણકારી આપી. જે બાદ તે ફ્લાઇટ પેસેન્જરના સામાનની તલાશી લેવામાં આવી હતી અને તે સમયે BDDS ટીમ તેમજ પોલીસ અધિકારીઓ ત્યાં હાજર હતા. શંકાસ્પદ મુસાફરના સામાનની ઝીણવટભરી તપાસ દરમિયાન પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. એક અધિકારીએ કહ્યું કે જે વ્યક્તિએ કહ્યું હતું કે તેની બેગમાં બોમ્બ છે, તેને છાતીમાં દુખાવો થઈ રહ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
ફ્લાઇટ સવારે 6 વાગ્યે મુંબઈ એરપોર્ટથી રવાના થઈ હતી
એક અધિકારીએ વધુમાં જણાવ્યું કે તે ફ્લાઈટમાં તેની સાથે તેનો એક સંબંધી પણ મુસાફરી કરી રહ્યો હતો. સંબંધીએ પોલીસને જણાવ્યું કે તેના સાથીદારે છાતીમાં દુખાવાની દવા લીધી હતી અને તે બોલી શકતો ન હતો. તમામ પ્રકારની તપાસ કર્યા બાદ પોલીસે ક્લીયરન્સ આપ્યું અને ત્યારબાદ આકાસા એરની ફ્લાઈટ સવારે 6 વાગ્યે મુંબઈ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થઈ. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.