નવી દિલ્હીઃ કોરોના વાયરસ દિવસે દવિસે નવા રેકોર્ડ બનાવી રહ્યો છે ત્યારે આજે દેશમાં કોરોના વાયરસે બધદા રેકોર્ડ તોડ્યા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી થતાં મોતથી અત્યાર સુધીના બધા રેકોર્ડ તૂટી ગયા છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં કોરોના નવા કેસો આવ્યા બાદ સંક્રમિત દર્દીઓની સંખ્યા એક કરોડ 69 લાખ 60 હજાર 172 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, કેરોના વાયરસના ચેપના 3,49,691 નવા કેસ નોંધાયા છે, જ્યારે 2767 લોકો મૃત્યુ પામ્યા છે.
ઉલ્લેખનીય છે કે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા ચોંકાવનારા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે નિવેદનમાં જણાવ્યું કે, કોવિડ -19ના રોજિંદા નવા કેસોમાં 74.15 ટકા મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિત કુલ દસ રાજ્યોના છે. મંત્રાલયે કહ્યું કે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, કેરળ, ગુજરાત, તમિળનાડુ, રાજસ્થાન, બિહાર અને પશ્ચિમ બંગાળ સહિતના 12 રાજ્યોમાં દૈનિક કોરોના સંક્રમણના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, દેશમાં સંક્રમણના કુલ કેસોમાં 74.15 ટકા મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તમિળનાડુ, ગુજરાત અને રાજસ્થાનના છે.
ઉપચારાધીન 66.66 ટકા દર્દીઓ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, ગુજરાત અને કેરળના છે. મંત્રાલયે કહ્યું કે, કોવિડ -19ના 13.83 કરોડથી વધુ ડોઝ દેશના લોકોને આપવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, દેશમાં પહેલી મેથી શરૂ થનારા ત્રીજા તબક્કાના ટીકાકરણ અંગે કેન્દ્ર સરકારે રાજ્યો માટે દિશા નિર્દેશ જારી કર્યા છે. આ દિશા નિર્દેશમાં રાજ્ય સરકારોને જણાવવામાં આવ્યું છે કે, વધુમાં વધુ વેક્સીન સેન્ટરો શરૂ કરી મોટા પ્રમાણમાં લોકોને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવે. જે હૉસ્પિટલોએ વેક્સીન ખરીદી છે તેના પર નજર રાખવા જણાવવામાં આવ્યું છે.