સચિવાલયના વિવિધ વિભાગો અને મંત્રીઓની ચેમ્બરો ફરીથી ધમધમતી થશે. છેલ્લા અઢી મહિનાથી આ ઓફિસો બંધ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવો નિર્ણય લીધો છે કે હવે કોરોના સાથે કામ કરવાનું છે તેથી ઓફિસો વધુ સમય માટે બંધ રાખવી યોગ્ય નથી. આરોગ્યના વિવિધ નિયમોનું પાલન કરીને બઘી ઓફિસો ખોલી નાંખવામાં આવશે. કોરોના સંક્રમણ અને લોકડાઉનના પગલે ગયા માર્ચ મહિનાના મધ્યમાં સચિવાલયની મોટાભાગની ઓફિસો બંધ કરવામાં આવી છે. રાજ્યના મંત્રીઓને પણ ફિલ્ડમાં મોકલીને તેમની ચેમ્બરો બંધ કરી દેવામાં આવી હતી.
મંત્રીઓના અંગત સ્ટાફને લોકડાઉનમાં તેમના ઘરે રહેવાની સૂચના આપવામાં આવી હતી, જો કે સચિવાલયમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અવાર નવાર આવતા હોવાથી તેમની ચેમ્બરો ખોલવામાં આવતી હતી પરંતુ મર્યાદિત સ્ટાફને હાજર રહેવાની સૂચના હતી. અઢી મહિનાથી સચિવાલયના વિવિધ વિભાગો બંધ જેવી હાલતમાં રહ્યાં છે. સામાન્ય વહીવટ વિભાગે આદેશ કર્યો છે કે હવે ધીમે ધીમે વિભાગોના વડાએ તેમની ઓફિસો સલામતીને ધ્યાનમાં રાખીને ખોલવી જોઇએ. એવી જ રીતે સ્વર્ણિમ સંકુલમાં પણ મંત્રીઓની ચેમ્બરો ખોલવાના આદેશ કરવામાં આવ્યા છે.