નવી દિલ્હીઃ અત્યારે દેશના તમામ નેશનલ હાઈવે ઉપર ટોલ પ્લાઝા ઉપર ગાડીમાં ફરજીતા ફાસ્ટેગ કરવામાં આવ્યું છે. જોકે, આગામી દિવસોમાં દેશમાં તમામ ટોલ પ્લાઝા દૂર કરવાની મોટી જાહેરાત કેન્દ્રી માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આગામી એક વર્ષમાં તમામ ટોલ પ્લાઝા નાબૂદ કરવામાં આવશે. ગુરુવારે લોકસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં ગડકરીએ કહ્યું કે સરકાર આગામી એક વર્ષમાં તમામ ટોલ પ્લાઝાને નાબૂદ કરવાની યોજના બનાવી રહી છે. કારણ કે હવે ટોલ પ્લાઝાના તમામ કામ ટેકનોલોજી દ્વારા કરવામાં આવશે.
કેન્દ્રીય પ્રધાને કહ્યું કે તેમનું મંત્રાલય એવી ટેકનિક પર કામ કરી રહ્યું છે, જેમાં તમે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પસાર થશો, ત્યાંથી જીપીએસની મદદથી કેમેરો તમારો ફોટો લેશે અને જ્યાં તમે ધોરીમાર્ગ પરથી ઉતરશો ત્યાં કેમેરા તમારો ફોટો લેશે. આ વચ્ચે જે અંતર થશે તેટલો ટોલ ભરવો પડશે.
ટેક્નોલોજીની મદદથી લોકોને એટલો જ ટોલ ચૂકવવો પડશે, જેટલું અંતર તે રોડ પર ચાલે છે. તેમજ ગાડીઓમાં જીપીએસ સિસ્ટમ્સ સ્થાપિત કરવામાં આવશે. જેની મદદથી ટોલ ચાર્જ ચૂકવી શકાય છે અને તે પછી શહેરની અંદર આવા ટોલની જરૂર રહેશે નહીં.
વાસ્તવમાં બસપાના સાંસદ ડેનિશ અલીએ યુપીના હાપુરમાં ગઢ મુક્તેશ્વર નજીકના માર્ગ પર મ્યુનિસિપલ હદમાં ટોલ પ્લાઝા હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના જવાબમાં ગડકરીએ કહ્યું કે આ ચોક્કસપણે ખોટું છે. ઘણા શહેરોમાં પહેલા ટોલ પ્લાઝા બનાવવામાં આવ્યા હતા. આ ટોલ પ્લાઝા પણ એક વર્ષમાં સમાપ્ત થઈ જશે. ટોલ પ્લાઝામાં ચોરીના અનેક કિસ્સા હતા. આ સાથે તેમણે કહ્યું કે ટોલ પ્લાઝા સમાપ્ત થશે, પરંતુ ટોલ ચૂકવવો પડશે. ગડકરીએ જણાવ્યું હતું કે 93 ટકા વાહનો ફાસ્ટેગની મદદથી ટોલ ચૂકવે છે.
ઉલ્લેખનીય છે કે સરકાર ટોલની મુશ્કેલીઓને દૂર કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં જ FASTag સંપૂર્ણપણે કેશલેસ ટ્રાન્ઝેક્શન માટે લાગુ કરવામાં આવ્યું છે. આની મદદથી તમે ટોલ પ્લાઝા ઉપર વધતી લાઈનથી છૂટકારો મેળવી શકો છો અને તે જ સમયે તમે તમારી કારને કોઈપણ મુશ્કેલી વિના હાઈવે પર ચલાવી શકો છો.
કેન્દ્ર સરકાર સતત ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાષ્ટ્રીય રાજમાર્ગ પર રહેલા ટોલ પ્લાઝાને દૂર કરવા માટે પ્રયાસ કરી રહી છે. જેમાં ટેકનોલોજી અપગ્રેડેશનની મદદથી હાલમાં જ કાર અને વાહનો માટે ફાસ્ટેગ લાગુ કરવામાં આવ્યો છે. જેને હાલ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.