ગાઝિયાબાદઃ 13 માર્ચના રોજ પણ દિલ્હીથી દેહરાદૂન જઈ રહેલી શતાબ્દી ટ્રેનના એક કોચમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. ત્યારે વધુ એક શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. કોચમાં આગ લાગતા મુસાફરોમાં ભય ફેલાયો હતો. દિલ્હીથી લખનઉ જઈ રહેલી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગતા ભારે નાસભાગ મચી ગઈ હતી.
ગાઝિયાબાદ રેલવે સ્ટેશન પર શતાબ્દી એક્સપ્રેસના જનરેટર કારમાં આગ ભભૂકી ઉઠી હતી. જેના લીધે યાત્રિકોમાં ભારે અફરા-તફરી મચી ગઈ હતી. આગ લાગવાની ઘટનાની સૂચના મળતા જ રેલવેના કર્મચારીઓ અને અધિકારીઓએ તાબડતોબ ટ્રેનથી જનરેટર કારના કોચને અલગ પાડ્યો હતો. આના લીધે આ રૂટ પર જતી-આવતી અનેક ટ્રેનોને પાસે આવેલા સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. આ બનાવમાં કોઈ જાનહાનિના કોઈ અહેવાલ નથી. ટ્રેનના લગેજ બોગીમાં આગ કઈ રીતે લાગી એની તપાસ કરવામાં આવી રહી છે.
ફાયર બ્રિગેડના કર્મચારીઓ અનુસાર, ટ્રેનના પાછળ રહેલા લગેજ જનરેટર કારમાં આગ લાગી હતી. રેલવે વિભાગ દ્વારા આગની ઘટનાને લઈ તપાસ શરૂ કરી દીધી છે. પાર્સલ વેનમાં લાગેલી આગને તાત્કાલિક કાબૂમાં કરી લેવાઈ હતી જેથી બાકીના કોચને કોઈ નુકસાન નહોતું પહોંચ્યું. આગ લાગી હતી તે પાર્સલ કોચને ગાઝિયાબાદ સ્ટેશન પર જ અલગ કરીને ટ્રેનને રવાના કરી દેવામાં આવી હતી.
કયા કારણથી આગ લાગી તે હજુ સામે નથી આવ્યું પરંતુ ફાયર વિભાગની 6 ગાડીઓએ ઘટના સ્થળે દોડી જઈને સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. ટ્રેનની સૌથી છેલ્લી બોગી એટલે કે જનરેટર અને લગેજ યાનમાં આગ લાગી હતી જેથી તે બોગીને ટ્રેનથી અલગ કરીને આગને કાબૂમાં લેવામાં આવી હતી. અગાઉ 13 માર્ચના રોજ પણ દિલ્હીથી દેહરાદૂન જઈ રહેલી શતાબ્દી ટ્રેનના એક કોચમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી.