નાસિક (ગ્રામીણ) એસપી સચિન પાટીલે જણાવ્યું કે અફઘાનિસ્તાનનો રહેવાસી (ખ્વાજા સૈયદ ચિશ્તી) ભારત આવ્યો હતો અને અહીં શરણાર્થી સ્થિતિમાં રહેતો હતો. ગઈકાલે ડ્રાઈવર અને તેના ત્રણ સાથીઓએ તેની ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસે એક શકમંદને કસ્ટડીમાં લીધો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હત્યા શહેરના MIDC વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં કરવામાં આવી હતી. યેવલામાં મુસ્લિમ સમુદાય તેમને ‘સૂફી બાબા’ તરીકે ઓળખતો હતો. પોલીસે કહ્યું કે ધાર્મિક નેતાના તમામ હત્યારાઓની શોધ કરવામાં આવી રહી છે. બીજી તરફ ફાયરિંગની આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
પોલીસે જણાવ્યું કે હુમલાખોરોએ ખ્વાજા સૈયદ ચિશ્તીના માથામાં ગોળી મારી હતી, જેના કારણે સૂફી બાબાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હત્યા કર્યા બાદ હુમલાખોરો તેની જ એસયુવીમાં સ્થળ પરથી ભાગી ગયા હતા. પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. હાલમાં હત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી, પરંતુ પોલીસનું માનવું છે કે આ હત્યા આર્થિક વિવાદને કારણે થઈ છે.