નાગરિકતા સંશોધન કાયદા અને સૂચિત એનઆરસીને લઈને વિરોધપ્રદર્શનો શુક્રવારે ઉત્તર પ્રદેશનાં અનેક શહેરોમાં ફેલાયાં હતા જેમાં અત્યાર સુધી નવ લોકોનાં મૃત્યુ થયાં છે. ઉત્તર પ્રદેશના પોલીસ ચીફ ઓ. પી. સિંહના જણાવ્યા અનુસાર રાજ્યમાં નવ લોકોનાં મૃત્યુ થયાં છે. જોકે, આ પૈકી કેટલાં લોકો પોલીસ ફાયરિંગમાં માર્યા ગયા છે તે આંકડો હજી સ્પષ્ટ નથી. શુક્રવારે ઉત્તર પ્રદેશમાં અનેક શહેરોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે અને કલમ 144 લાગુ કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે પથ્થરબાજીની ઘટના બની હતી. ઉત્તર પ્રદેશના બહરાઈચમાં પણ વિરોધપ્રદર્શનો થયા હતા અને વિરોધ કરનારા લોકો પર લાઠીચાર્જ થયો હતો. આ ઉપરાંત ફિરોઝાબાદ, ભદોઈ, ગોરખપુર, અને સંભલમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ઉત્તર પ્રદેશમાં કાનપુર, સુલતાનપુર, ઉન્નાવ, હાથરસ, મુઝફ્ફરનગરમાં પણ હિંસા થઈ હોવાના અહેવાલો હતા. બુલંદશહરમાં એક પોલીસની ગાડીને આગ લગાવી દેવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ પછી આજે 21 ડિસેમ્બરે બિહાર બંધનું એલાન આપવામાં આવ્યું છે.
Sunday, May 5