કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઇ)એ ડાયાબિટિસ ટાઇપ-૧ને દિવ્યાંગતાની શ્રેણીમાં સામેલ કરેલ છે. આ નિર્ણય બાદ ડાયાબિટિસ ટાઇપ-૧થી પીડાતા વિદ્યાર્થીઓને ધો.૧૦ અને ધો.૧રની બોર્ડની પરીક્ષામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને જેમ સુવિધા મળી શકશે. બોર્ડે પીડિત વિદ્યાર્થીઓને દિવ્યાંગની શ્રેણીમાં ફોર્મ ભરવાનો વિકલ્પ આપ્યો છે. સીબીએસઇ ધો.૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષા પાંચ માર્ચથી શરૂ થઇ રહી છે. આ માટે વિદ્યાર્થીઓ અને બોર્ડે પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ તૈયારીઓની વચ્ચે સીબીએસઇએ મોટો નિર્ણય લેતાં ડાયાબિટીસ ટાઇપ-૧થી પીડાતા વિદ્યાર્થીઓને દિવ્યાંગતાની શ્રેણીમાં સામેલ કર્યા છે.
ડિસએબિલિટી એકટ-ર૦૧૭માં દિવ્યાંગતાવાળી ર૧ બીમારીઓની યાદીમાં ડાયાબિટિસ સામેલ નહોતો, પરંતુ ત્યાર બાદ સીબીએસઇએ સકર્યુલર જારી કરીને ડાયાબિટિસ ટાઇપ-૧ને દિવ્યાંગતાની શ્રેણીમાં સામેલ કર્યું. સકર્યુલરમાં કહેવાયું છે કે સીબીએસઇએ પીડિત વિદ્યાર્થીઓને કહ્યું કે જો તેઓ પરીક્ષા દરમિયાન વિશેષ છૂટ ઇચ્છતા હોય તો દિવ્યાંગતાની શ્રેણીમાં ફોર્મ ભરે.
ઉલ્લેખનીય છે કે સીબીએસઇએ ગયા વર્ષે બોર્ડની પરીક્ષા દરમિયાન ડાયાબિટિસથી પીડાતા વિદ્યાર્થીઓને રાહત આપતાં ઘણી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી. જે હેઠળ ઇન્સ્યુલિન પર નિર્ભર વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં ચોકલેટ, ટોફી અને પાણી લઇ જવાની પરવાનગી અપાઇ હતી. આ વર્ષે પણ યોજાનાર પરીક્ષામાં સીબીએસઇએ ડાયાબિટિસથી પીડાતા વિદ્યાર્થીઓ માટે આ છૂટ રાખી છે જે હેઠળ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં કેળાં, સફરજન, સંતરાં અને અડધા લિટર સુધીની પાણીની બોટલ લઇ જઇ શકે છે.