દિલ્હી:કેન્દ્રીય માહિતી કમિશનરે પ્રધાનમંત્રી મોદીની સાથે વિદેશ યાત્રા પર જનારા પ્રતિનિધિમંડળના સભ્યો વિશે માહિતી પૂરી પાડવા આદેશ આપ્યો છે.મુખ્ય માહિતી અધિકારી આર.કે માથુરે PMOને આદેશ કર્યો છે કે, પ્રધાનમંત્રી મોદીની સાથે તેમની વિદેશ યાત્રાઓ પર જનાર તમામ પ્રતિનિધિ મંડળના સભ્યોના નામ બતાવવામાં આવે.
આ સાથે જ માથુરે PMO તરફથી રાષ્ટ્રીય સુરક્ષાને લઈને જે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો તેને પણ ઠુકરાવ્યો છે.આ સાથે જ તેમણે એવું પણ કહ્યું કે, આયોગનો એવો વિચાર છે કે, એવા તમામ બીન સરકારી લોકોના નામ અને યાદી અરજીકર્તાઓને આપવામાં આવે જેઓ પ્રધાનમંત્રી મોદી સાથે વિદેશ યાત્રા પર ગયા હતા.
મહત્વનું છે કે, માહિતી આયોગમાં નીરજ શર્મા અને અય્યૂબ અલીએ PM મોદીના વિદેશ પ્રવાસ દરમિયાન તેમની સાથે જનારા પ્રતિનિધિમંડળના નામ જણાવવા માટે અરજી કરી હતી.પરંતુ તેમને PMO તરફથી કોઈપણ પ્રકારનો જવાબ મળ્યો ન હતો.જે બાદ આ અરજી કેદ્રીય માહિતી કમિશન પાસે પહોંચી હતી.