ઉત્તરાખંડના ચારધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રીમાં દર્શન કરનાર લોકોની સંખ્યા સતત વધી રહી છે. હવે ભક્તો માટે કોરોના નેગેટિવ રિપોર્ટ સાથે લઇને આવવાની જરૂર નથી. કોઇપણ વ્યક્તિ ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ્ બોર્ડની વેબસાઇટ ઉપર દર્શન માટે રજિસ્ટ્રેશન કરીને ઉત્તરાખંડ સરળતાથી પહોંચી શકે છે. દેવસ્થાનમ્ બોર્ડના મીડિયા અધિકારી ડો. હરીશ ગૌડના જણાવ્યાં પ્રમાણે 3 ઓક્ટોબરે 4844 લોકોએ ચારધામ યાત્રા માટે ઈ-પાસ બુક કરાવ્યો છે. જેમાં બદ્રીનાથ માટે 1172, કેદારનાથ માટે 2647, ગંગોત્રી માટે 641 અને યમનોત્રી માટે 384 લોકોએ ઈ-પાસ બુક કર્યો છે. છેલ્લાં ત્રણ મહિનામાં કુલ 92516 લોકોએ ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ચારધામની યાત્રાએ આવી રહેલાં ભક્તો માસ્ક, સેનેટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી રહ્યા છે. કોરોના મહામારીના કારણે યાત્રીઓનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. મંદિરમાં દૂરથી જ દેવ દર્શન કરાવવામાં આવી રહ્યા છે. દેવસ્થાનમ્ બોર્ડના વિશ્રામ ગૃહ પણ તીર્થ યાત્રીઓ માટે ખોલી દેવામાં આવ્યાં છે. તીર્થ યાત્રી જરૂરિયાત પડે તો અહીં રોકાઇ પણ શકે છે.