તિરુવનંતપુરમઃ દેશમાં કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક સાબિત થઈ રહી છે ત્યારે કોરોના વાયરસને રોકવા માટે કેરળે લોકડાઉન આપ્યું છે. કેરળ સરકારએ કોરોના વાયરસ સંક્રમણના વધતા કેસોની વચ્ચે સ્થિતિ પર પ્રબંધન અને નિયંત્રણ મેળવવા માટે 8 મેથી 16 મે સુધી લૉકડાઉનની જાહેરાત કરી છે. કેરળના મુખ્યમંત્રી વિજયનના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટથી કહેવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રીના નિર્દેશ અનુસાર કોરોના વાયરસની બીજી લહેરને ધ્યાને લઈ 8 મેથી 16 મેની સવારે 6 વાગ્યા સુધી સમગ્ર કેરળ રાજ્યમાં લૉકડાઉન હશે.
કેરળમાં કોવિડ-19ના મામલામાં રોજેરોજ થઈ રહેલી વૃદ્ધિની વચ્ચે રાજ્ય સરકારે સ્થિતિનો સામનો કરવા માટે મેડિકલનો અભ્યાસ કરી રહેલા સ્ટુડન્ટ્સ અને સરકારી અધિકારીઓની તૈનાતી કરી કોરોના વાયરસ સંક્રમણની વિરુદ્ધ ઉપાયોને મજબૂત કરવાનો નિર્ણય લીધો છે. કેરળમાં બુધવારે કોવિડ-19ના 41,953 કેસ સામે આવ્યા હતા જે એક દિવસમાં સૌથી વધુ છે. મુખ્યમંત્રી પિનારાઇ વિજયને સ્થિતિને ગંભીર કરાર કરતાં કહ્યું કે, સંક્રમણને રોકવા માટે વધુ કડક પગલાં ભરવામાં આવશે.
વિજયને અધિકારીઓ સાથે હાલતની સમીક્ષા કર્યા બાદ કહ્યું કે, વોર્ડ સ્તરની સમિતિઓને મજબૂત કરવાના નિર્દેશ આપવામાં આવી ચૂક્યા છે તથા વિસ્તારના મેડિકલ સ્ટુડન્ટ્સને તાત્કાલિક પ્રક્રીયા ટીમમાં સામેલ કરવામાં આવશે. તેઓએ કહ્યું કે, ઉચ્ચ અધિકારીઓની સાથોસાથ વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયામાં સામેલ તમામ અધિકારીઓને આ સમિતિઓ અને ટીમોમાં સામેલ કરવામાં આવશે.
નોંધનીય છે કે, કેરળના મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં કહ્યું હતું કે, રાજ્યને કોવિશીલ્ડના 50 લાખ ડોઝ અને કોવેક્સીનના 25 લાખ ડોઝ ફાળવવા જોઈએ. રાજ્યમાં ગત 24 કલાકમાં વધુ 58 દર્દીઓના મોતની સાથે અત્યાર સુધી મહામારીમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,565 થઈ ગઈ છે. સરકારના જણાવ્યા મુજબ, હાલ રાજ્યમાં 3,75,658 દર્દી સારવાર લઈ રહ્યા છે અને સંક્રમણનો દર કેરળમાં 25.69 ટકા છે.