મુંબઈઃ દેશમાં કોરોના ધીમે ધીમે વધારે ફેલાતો જાય છે ત્યારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનું રૌદ્ર સ્વરૂપ સામે આવી રહ્યું છે. દેશમાં સૌથી વધારે કોરોનાનો કહેર મહારાષ્ટ્રમાં વર્તાઈ રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રની કોરોનાની સ્થિતિની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 9855 નવા પોઝિટિવ કેસો નોંધાયા હતા. અને 42 દર્દીઓનું કોરોનાના કારણે મોત થયું હતું. જોકે, બીજી તરફ કોરોના વેક્સીન અભિયાન પણ ચાલી રહ્યું છે.
દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,66,16,048 લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 17,407 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 89 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,11,39,516 થઈ ગઈ છે.
વિશેષમાં, કોવિડ-19ની મહામારી સામે લડીને 1 કરોડ 8 લાખ 26 હજાર 75 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 14,031 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,73,413 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,57,435 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ ગુરૂવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 3 માર્ચ સુધીમાં ભારતમાં કુલ 21,91,78,908 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારના 24 કલાકમાં 7,75,631 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 475 નવા કેસ નોંધાયા જ્યારે 358 લોકોએ કોરોનાને મ્હાત આપી. કોરોના સંક્રમણથી અમદાવાદ કોર્પોરેશનમાં એક મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4412 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 264195 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.40 ટકા પર પહોંચ્યો છે. હાલ 2638 એક્ટિવ કેસ છે, જેમાંથી 39 લોકો વેન્ટિલેટર પર અને 2599 લોકો સ્ટેબલ છે.