નવી દિલ્હી : કોરોના સંકટ અને લોકડાઉન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. બેઠકમાં ગૃહ પ્રધાન અમિત શાહ, રેલવે પ્રધાન પિયુષ ગોયલ, નાણાંમંત્રી નિર્મલા સીતારમણ, સીડીએસ જનરલ બિપિન રાવત સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે બેઠકમાં લોકડાઉનના બીજા તબક્કાની સમીક્ષા કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ, બેઠકમાં 3 મે પછી સરકારની રણનીતિ અને 4 મેથી કઈ કઈ છૂટછાટ આપી શકાય? તેની ચર્ચા થઈ હતી. એવું માનવામાં આવે છે કે આગામી એક કે બે દિવસમાં, ગૃહ મંત્રાલય નવી માર્ગદર્શિકા બહાર પાડી શકે છે, કયા ઝોનમાં, કઈ છૂટછાટ આપવામાં આવશે? તેનો ખુલાસો કરવામાં આવશે.
લોકડાઉન 2.0 3 મેના રોજ સમાપ્ત થાય છે
નોંધપાત્ર વાત એ છે કે, લોકડાઉનનો બીજો તબક્કો 3 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે અને દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 35 હજારને વટાવી ગઈ છે. આવી સ્થિતિમાં, સરકાર સમક્ષ સૌથી મોટો પડકાર ચેપ અટકાવવાનો છે. કેન્દ્રીય પ્રધાનો અને અધિકારીઓ સાથેની બેઠક પૂર્વે પીએમ મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી.