નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસની સ્થિતિ ચિંતાજનક રીતે બગડી રહી છે. દિવસેને દિવસે કોરોનાનો ફેલાવો ગંભીર રીતે થઈ રહ્યો છે. રોજે રોજ કોરોનાના નવા કેસોમાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. આમ એક તબક્કે કોરોના કેસોમાં ભારત વૈશ્વમાં 17માં નંબરે હતું જોકે હવે સ્થિતિ બદલાઈને 5માં ક્રમે પહોંચ્યું છે. આ ક્રમને જોતા આપણે જાણી શકીએ કે ભારતમાં કોરોનાની સ્થિતિ કેટલી ગંભીર બની રહી છે. આ ઉપરાંત વિશ્વમાં ભારત પહેલા અમેરિકા, બ્રાઝિલ, ઇટલી અને ફ્રાંસ જેવા શક્તિશાળી દેશોનો સમાવેશ થાય છે.
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ ગૃરુવાર સવારે 8 વાગ્યા સુધીમાં 24 કલાકમાં 17,407 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જે એક મહિનામાં સૌથી વધુ સંખ્યા છે. આ પહેલા 29 જાન્યુઆરીએ 24 કલાકમાં 18,855 નવા કેસ આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 1,11,56,923 થઈ ગઈ છે, જ્યારે 89 વધુ કોરોના દર્દીઓના મૃત્યુ બાદ, સંખ્યા વધીને 1,57,435 થઈ છે.
વિશેષ વાત એ છે કે છેલ્લાં બે-ત્રણ દિવસમાં બ્રાઝિલમાં નવા દર્દીઓના કેસ યુ.એસ. કરતા વધુ આવ્યા છે. વર્લ્ડોમીટર અનુસાર બુધવારે, બ્રાઝિલમાં વિશ્વના સૌથી વધુ કેસ 74,376 આવ્યા હતા. જ્યારે યુએસમાં 66,879 નવા દર્દીઓ આવ્યા હતા.
વિશ્વવ્યાપી કોરોના દર્દીઓનો આંકડો 11.57 કરોડને વટાવી ગયો છે. આમાંથી 9 કરોડ 14 લાખથી વધુ લોકો સાજા થયા છે. તેમજ 25.7 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વિશ્વવ્યાપી સક્રિય દર્દીઓની કુલ સંખ્યા લગભગ 2 કરોડ 18 લાખ છે.
વિશ્વભરમાં કુલ દર્દીઓની ટકાવારી
દેશમાં કોરોનાથી મરી રહેલા લોકોની સંખ્યા ઓછી થઈ રહી છે, પરંતુ સક્રિય કિસ્સાઓમાં વધારો થયો છે. સક્રિય દર્દીઓની સંખ્યાના મામલે ભારત 13 મા ક્રમે છે. ગુરુવારે સક્રિય દર્દીઓની સંખ્યા 3287 વધીને કુલ દર્દીઓની સંખ્યા 1,73,413 થઈ ગઈ છે. આ સંખ્યા કુલ ચેપગ્રસ્તના 1.55 ટકા છે. દેશમાં કોરોનાનો રીકવરી દર 97.03 છે. સક્રિય કેસનો દર 1.55 ટકા નીચે આવી ગયો છે, પરંતુ મૃત્યુ દર હજુ પણ 1.41 ટકા છે.
મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, તમિલનાડુ, ગુજરાત અને કર્ણાટકમાં કોવિડ -19 ના કેસ વધી રહ્યા છે. આ રાજ્યોમાં ચેપના નવા કેસોમાં 85.51 ટકા હિસ્સો છે. પંજાબ અને મધ્યપ્રદેશમાં સારવાર હેઠળના કેસો વધી રહ્યા છે. જો કે 24 કલાકમાં, કેરળ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર અને આસામમાં કેસોમાં ઘટાડો થયો છે.