નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે દેશમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે વધારે બગડતી જાય છે. દેશના મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને મધ્ય પ્રદેશ રાજ્યોને કોરોનાએ કપરી પરિસ્થિતિમાં મૂક્યા છે. બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 47,262 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 275 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,17,34,058 થઈ ગઈ છે.
બીજી તરફ દેશમાં અત્યાર સુધીમાં કુલ 5 કરોડથી વધુ કોવિડ વેક્સીનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. પરંતુ કોરોના સંક્રમણના કેસો જે રીતે વધી રહ્યા છે તેના કારણે એક્ટિવ કેસોમાં પણ ચિંતાજનક સ્તરે વધારો નોંધાઈ રહ્યો છે. હાલ દેશમાં 3 લાખ 60 હજારથી પણ વધુ એક્ટિવ કેસ છે. આ ઉપરાંચ મોતના આંકડા પણ વધી રહ્યા છે. 30 ડિસેમ્બર બાદ પહેલીવાર 275 દર્દીઓનાં મોત થયા છે. 30 ડિસેમ્બરે કોરોના સંક્રમણને કારણે 300 લોકોનાં મોત થયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને સંક્રમણના નવા કેસોમાં આ રાજ્યોની ભાગીદારી 80.5 ટકા છે.
ભારતમાં કુલ 5 કરોડ 8 લાખથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 47,262 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 275 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,17,34,058 થઈ ગઈ છે.
કોવિડ-19ની મહામારી સામે લડીને 1 કરોડ 12 લાખ 5 હજાર 160 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 23,907 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 3,68,457 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,60,441 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 23 માર્ચ સુધીમાં ભારતમાં કુલ 23,64,38,861 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંગળવારના 24 કલાકમાં 10,25,628 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.