નવી દિલ્હીઃ કોરોના વાયરસની બીજી લહેર દેશમાં વધારે ઘાતક બની છે. જોકે, થોડા દિવસથી કોરોના વાયરસના સંક્રમણની ગતિ ધીમી પડી છે. જોકે દેશમાં કોરોનાના કારણે મોતની સંખ્યા હજી પણ 4000ની ઉપર હોવાથી ચિંતાનો વિષય બન્યો છે. દેશમાં કેટલાક રાજ્યોમાં કડક લોકડાઉન અને અન્ય રાજ્યોમાં રાત્રી કર્ફ્યૂ સહિત કડક પ્રતિબંધોના કારણે આંશિક લોકડાઉનની સ્થિતિના પગલે કોરોનાની સ્પિડ ઉપર બ્રેક લાગી છે.
મળતી માહિતી પ્રમાણે 16 મે રવિવારના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,11,170 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 4,077 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,46,84,077 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 18,22,20,164 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
વિશેષમાં, કોવિડ-19ની મહામારી સામે લડીને 2 કરોડ 7 લાખ 95 હજાર 335 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 3,62,437 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 36,18,458 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 2,70,284 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ રવિવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 15 મે સુધીમાં ભારતમાં કુલ 31,48,50,143 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે શનિવારના 24 કલાકમાં 18,32,950 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.