નવી દિલ્હીઃ દેશમાં કડક પ્રતિબંધોની અસર ધીમે ધીમે દેખાઈ રહી છે. કોરોનાની ગતિ ઓછી થતી જાય છે પરંતુ મોતના આંકડા હજી પણ ચાર હજારથી વધારે છે. ઘણા દિવસો બાદ 24 કલાકમાં નોંધાયેલા નવા કેસોની સંખ્યા 3 લાખની નીચે નોંધાઈ છે, પરંતુ રવિવારે કોરોના સેમ્પલ ટેસ્ટિંગની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયેલો છે. પરંતુ હજુ ચિંતા ઓછી નથી થઈ કારણ કે એક દિવસમાં કોરોના સામે જંગ હારનારા દર્દીઓની સંખ્યા 4 હજારથી ઉપર જ નોંધાઈ છે. ભારતમાં કોરોનાવાયરસની બીજી લહેર હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કહેર વરસાવી રહી છે.
સોમવારે 17 મેના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,81,386 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 4,106 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,49,65,463 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 18,29,26,460 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
બીજી તરફ, કોવિડ-19ની મહામારી સામે લડીને 2 કરોડ 11 લાખ 74 હજાર 76 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 3,78,741 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 35,16,997 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 2,74,390 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 16 મે સુધીમાં ભારતમાં કુલ 31,64,23,658 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે રવિવારના 24 કલાકમાં 15,73,515 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.