નવી દિલ્હીઃ એક બાજુ કોરોના સામે લડવા માટે કેન્દ્ર સરકારે કોરોના રસીકરણ અભીયા તેજ બનાવી દીધું છે. ત્યારે દેશમાં કોરોના વાયરસની તેજ લહેર ચાલી રહી છે. દિવસેને દિવસે હજારોની સંખ્યમાં કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે. દેશમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો સતત બીજા દિવસે 62 હજારથી વધુ લોકો કોવિડ-19થી સંક્રમિત થયા છે. એક્ટિવ કેસો પણ ટૂંક સમયમાં પાંચ લાખે પહોંચી જશે તેવો ડર છે. 24 કલાકમાં નોંધાતો મૃત્યુઆંક 300થી વધી જતાં ચિંતામાં વધારો થયો છે.
ભારતમાં કુલ 6 કરોડથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 62,714 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 312 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,19,71,624 થઈ ગઈ છે.
કોવિડ-19ની મહામારી સામે લડીને 1 કરોડ 13 લાખ 23 હજાર 762 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 28,739 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 4,86,310 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,61,552 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ રવિવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 27 માર્ચ સુધીમાં ભારતમાં કુલ 24,09,50,842 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, શનિવારના 24 કલાકમાં 11,81,289 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.