મુંબઈઃ અત્યારે કોરોનાએ સમગ્ર મહારાષ્ટ્રમાં પોતાનો આતંક મચાવ્યો છે. મુંબઈમાં ગુરુવારે કોરોના વાયરસના નવા 8,646 કેસ સામે આવ્યા છે. મુંબઈમાં એક દિવસે નોંધાયેલા આ સૌથી વધારે કેસ છે. જ્યારે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 43 હજારથી વધારે કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોના મહામારીને પગલે 18 દર્દીનાં મોત થયા છે. 5,031 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવ છે.
સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે કોવિડ-19ને પગલે મુંબઈમાં અત્યારસુધી 11,704 દર્દીના મોત થઈ ગયા છે, હાલ 55,005 લોકો સારવાર હેઠળ છે. આ દરમિયાન મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યું છે કે મુંબઈમાં લૉકડાઉન લાગશે કે નહીં તે અંગે બહુ ઝડપથી નિર્ણય કરવામાં આવશે. પેડનેકરે સીએનએન-ન્યૂઝ18 સાથે ખાસ વાતચીત કરતા એવો ઇશારો કર્યો કે મુંબઈમાં બહુ ઝડપથી ફરીથી લૉકડાઉન લાગી શકે છે. આ અંગે આજે એટલે કે શુક્રવારે જાહેરાત કરવામાં આવી શકે છે.
મહારાષ્ટ્રમાં ગુરુવારે કોરોના વાયરસના નવા 43,183 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 249 લોકોનાં મોત થયા છે. આ દરમિયાન 32,641 લોકોને સારવાર બાદ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં સંક્રમણના કુલ કેસ વધીને 28,56,163 થઈ ગયા છે. અત્યારસુધી 24,33,368 લોકો સાજા થયા છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા પ્રમાણે મહારાષ્ટ્રમાં અત્યારસુધી કોરોનાથી 54,898 દર્દીનાં મોત થયા છા. હાલ મહારાષ્ટ્રમાં 3,66,533 લોકોની સારવાર ચાલી રહી છે.
બીજી તરફ મુંબઈમાં આ વર્ષે માર્ચ મહિનામાં કોવિડ-19ના 88,710 કેસ નોંધાયા છે. જે ફેબ્રુઆરીમાં નોંધાયેલા કુલ કેસના 475 ટકા વધારે છે. બીએમસીએ આ જાણકારી આપી હતી. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં શહેરમાં 18,359 કેસ સામે આવ્યા હતા. જ્યારે જાન્યુઆરીમાં 16,328 કેસ નોંધાયા હતા. એનો મતલબ એવો થયો કે માર્ચમાં મુંબઈમાં ગત મહિનાની સરખામણીમાં 70,351 વધારે કેસ નોંધાયા છે. જ્યારે જાન્યુઆરીના સરખામણીમાં 72,382 નવા કેસ નોંધાયા છે.
આંકડા પ્રમાણે મુંબઈમાં કોરોનાને કારણે માર્ચ મહિનામાં 216 લોકોનો જીવ ગયો હતો. જ્યારે ફેબ્રુઆરીમાં 119 લોકોનાં મોત થયા હતા. ફેબ્રુઆરીના સરખામણીમાં માર્ચમાં 181 ટકા વધારે મોત થયા છે. જાન્યુઆરીમાં કોરોનાને પગલે 237 લોકોનાં મોત થયા હતા. શહેરમાં 31 માર્ચ સુધી સંક્રમિતોની સંખ્યા વધીને 4,14,714 થઈ ગઈ છે, જ્યારે મૃતકોની સંખ્યા 11,686 પર પહોંચી છે.