નવી દિલ્હીઃ દેશમાં કોરોના પોતાની ચરમસીમા ઉપર પહોંચી ગયો છે. કોરોના દેશમાં નવા રેકોર્ડ બનાવી રહ્યો છે ત્યારે ગુરુવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,26,198 કેસ નોંધાયા છે. ગત વર્ષે મહામારી શરૂ થયા બાદ એક દિવસે નોંધાયેલા આ સૌથી વધારે નવા કેસ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 684 દર્દીનાં મોત થયા છે. કોરોના મહામારીથી લડી રહેલા મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નવા 59,907 કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 322 લોકોનાં મોત થયા છે.
આ સાથે જ ભારતમાં કોરોના વાયરસના કુલ કેસ 1 કરોડ 29 લાખ 1 હજાર 785 થયા છે. જેમાંથી અત્યારસુધી 1 કરોડ 17 લાખ 92 હજાર 135 લોકો સાજા થયા છે. હાલ દેશમાં કોરના વાયરસના 8,43,473 એક્ટિવ કેસ છે. દેશમાં કોરોનાથી અત્યારસુધી કુલ 1,66,177 લોકોનાં મોત થયા છે.
સંક્રમિત થયેલા કેસની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. હાલ દુનિયામાં સૌથી વધારે નવા કેસ ભારતમાં નોંધાઈ રહ્યા છે. અમેરિક પછી સૌથી વધારે રિકવરી ભારતમાં થઈ છે. મોતના કેસમાં અમેરિકા, બ્રાઝીલ, મેક્સીકો પછી ભારત ચોથા નંબર પર છે.
દેશમાં 16 જાન્યુઆરીના રોજ કોરોના સામે રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. સાતમી એપ્રિલ સુધી દેશભરમાં કુલ 8.7 કરોડ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી ચૂકી છે.
સાતમી એપ્રિલના રોજ દેશમાં કુલ 33.37 લાખ લોકોને રસી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પહેલી એપ્રિલથી દેશમાં 45 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને વેક્સીને આપવાની શરૂઆત કરવામાં આવી છે.
દેશમાં કોરનાથી મૃત્યુદર 1.30 ટકા છે જ્યારે સાજા થવાનો દર આશરે 93 ટકા છે. દેશમાં એક્ટિવ કેસનો દર વધીને 6.25 થયો છે. એક્ટિવ કેસની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં પાંચમા નંબર પર છે.