નવી દિલ્હીઃ દેશમાં મોટાભાગના રાજ્યોમાં કોરોના સામે લડવા માટે કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. અને બીજી તરફ રસીકરણનું અભિયાન પણ તેજ કરવામાં આવ્યું છે. જેના કારણે દેશમાં કોરોનાની ગતિ ધીમી પડી રહી છે. લોકોને કોરોના સંક્રમણ અંગે રાહતના સમાચાર મળી રહ્યા છે પરંતુ મોતના આંકડા હજી પણ ડરામણા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1.32 લાખ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે 2713 દર્દીઓએ કોરોનાના કારણે મોતને ભેટ્યાં છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,32,364 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 2,713 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.
દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,85,74,350 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 22,41,09,448 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોવિડ-19ની મહામારી સામે લડીને 2 કરોડ 65 લાખ 97 હજાર 655 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે.
24 કલાકમાં 2,07,071 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 16,35,993એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 3,40,702 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 4 જૂન સુધીમાં ભારતમાં કુલ 35,74,33,846 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે ગુરૂવારના 24 કલાકમાં 20,75,428 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.