નવી દિલ્હી : કોરોના વાયરસને કારણે દેશમાં લાદવામાં આવેલું બીજા તબક્કાનું લોકડાઉન 3 મેના રોજ પૂર્ણ થઇ રહ્યું છે. ત્યારે ફરી એકવાર દેશમાં લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. કોરોના સંકટ અને લોકડાઉન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે (1 મે) એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. બેઠકમાં ગૃહ પ્રધાન અમિત શાહ, રેલવે પ્રધાન પિયુષ ગોયલ, નાણાંમંત્રી નિર્મલા સીતારમણ, સીડીએસ જનરલ બિપિન રાવત, નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરી, કેબિનેટ સચિવ રાજીવ ગૌબા સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે બેઠકમાં લોકડાઉનના બીજા તબક્કાની સમીક્ષા કરવામાં આવી હતી અને ત્રીજા તબક્કાના લોકડાઉન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
લોકડાઉન 2.0 એ 3 મેના રોજ સમાપ્ત થવાનું હતું. જો કે, આ પહેલા, મોદી સરકારના માધ્યમથી દેશવ્યાપી લોકડાઉન બે અઠવાડિયા માટે વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ લોકડાઉન 3.0 – 4 મેથી 17 મે સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન, ગૃહ મંત્રાલયે ચાલુ પ્રવૃત્તિઓ માટે એડવાઈઝરી પણ જારી કરી છે.