નવી દિલ્હીઃ દેશમાં અત્યારે કોરોના વાયરસ ચિંતાજનક રીતે ફેલાઈ રહ્યો છે દિવસેને દિવસે કોરોના વાયરસના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. વૈશ્વિક સ્તરે પણ કોરોના વાયરસના કેસોના ગ્રાફમાં ભારત ઉપર આવી રહ્યું છે. વિશ્વસ્તર ઉપર ભારત ત્રીજા નંબર ઉપર આવી ગયું છે. દેશના અમુક રાજ્યોમાં કોરોના વાયરસે ફરીથી ચિંતા વધારે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 24,882 નવા કેસ નોંધાયા છે. તેની સાથે 19,957 લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાથી સાજા થવાનો દર હાલ 96.8 ટકા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 140 લોકોનાં મોત થાય છે.
હાલમાં દેશમાં કોરોનાથી મોતનું પ્રમાણ 1.4 ટકા છે. દેશમાં કુલ મૃત્યાંક 1,58,446 થયો છે. દેશમાં હાલ કોરોના વાયરસના 2,02,022 સક્રિય કેસછે. દેશમાં અત્યારસુધી કુલ 1,13,33,728 કેસ નોંધાયા છે, જેની સામે 1,09,73,260 લોકો સાજા થયા છે. દેશમાં 12મી માર્ચના રોજ 8,40,635 લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી હતી. અત્યાર સુધી દેશમાં કુલ 2.25 કરોડ લોકોને વેક્સીન લગાવવામાં આવી ચૂકી છે.
સક્રિય કેસની સંખ્યામાં 4.8 હજારનો વધારો નોંધાયો છે. 53 દિવસ પછી ભારતમાં ફરી 2 લાખથી વધારે સક્રિય કેસ નોંધાયા છે. 83 દિવસ પછી ભારતમાં સૌથી વધારે કેસ નોંધાયા. 42 દિવસ પછી ભારતમાં વધારે મોત નોંધાયા. મહારાષ્ટ્રમાં 15.8 હજાર નવા કેસ, કેરળમાં 1.8 હજાર અને પંજાબમાં 1.4 હજાર નવા કેસ. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 56 લોકોનાં મોત. પંજાબમાં 34 અને કેરળમાં 14 લોકોનાં મોત. પંજાબમાં 150 દિવસ પછી સૌથી વધારે મોત નોંધાયા.
બીજી ઓક્ટોબર, 2020 પછી મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ નોંધાયા. કોરોનાના કુલ કેસની દ્રષ્ટીએ બ્રાઝીલ ભારતથી આગળ નીકળી ગયું. પ્રથમ નંબર પર અમેરિકા, બીજા નંબર પર બ્રાઝીલ અને ભારત ત્રીજા સ્થાને.
ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 715 કેસ નોંધાયા છે. જેની સામે 495 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 2 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4,420 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.95 ટકા છે. અત્યાર સુધીમાં 18,38,382 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ અને 4,61,434 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. શુક્રવારે 60 વર્ષથી વધારે વય ધરાવતા તેમજ 45થી 60 વર્ષ વયના ગંભીર બીમારી ધરાવતા 1,10,130 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. આ રસીના કારણે એકપણ ગંભીર આડઅસર જોવા મળી નથી.